Manika Batra : ભારતની સ્ટાર મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા (Manika Batra) એ ગુરુવારે રાહતનો શ્વાસ લીધો કારણ કે, દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) રાષ્ટ્રીય કોચ સામેના તેના મેચ ફિક્સિંગના આરોપો પર ત્રણ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના પૂર્વ જજ વિક્રમજીત સેન કરશે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના અન્ય ભૂતપૂર્વ ન્યાયાધીશ એકે સિકરી અને અર્જુન પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગુરબચન સિંહ રંધાવા પણ સામેલ છે.
જસ્ટિસ રેખા પલ્લીએ આ વાત ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (Table Tennis Federation of India) વિરુદ્ધ મનિકાની અરજીની સુનાવણી દરમિયાન કહી હતી. એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ (Asian Table Tennis Championship)માં ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શકનાર મનિકાએ રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય પર આરોપ મૂક્યો હતો કે ક્વોલિફાય કરવા માટે ઓલિમ્પિક ક્વોલિફાયર (Olympic qualifiers) મેચ ગુમાવવા માટે તેની તાલીમાર્થી પર દબાણ કર્યું હતુ.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, TTFI (Table Tennis Federation of India)ની પસંદગી પ્રક્રિયા પારદર્શક નથી અને તેમના જેવા કેટલાક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કોર્ટે કમિટીને આ મામલાની સુનાવણી ઝડપી કરવા અને ચાર સપ્તાહની અંદર તેનો રિપોર્ટ આપવા જણાવ્યું છે.
થોડા દિવસો પહેલા બીજી રાહત મળી
આ પહેલા 15 નવેમ્બરે દિલ્હી હાઈકોર્ટે TTFI (Table Tennis Federation of India)ને ફટકાર લગાવી હતી. સોમવારે દિલ્હી હાઈકોર્ટે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાને ફટકાર લગાવી હતી અને મનિકા બત્રાને ક્લીનચીટ આપવા કહ્યું હતું. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, તેઓ ઈચ્છતા નથી કે કોઈપણ ખેલાડીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવે.
જસ્ટિસ રેખા પલ્લી, જેમણે રમતગમત મંત્રાલયને રમતગમત સંસ્થા વિરુદ્ધ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો, તેણે કહ્યું હતું કે સીલબંધ કવરમાં સબમિટ કરેલા અહેવાલ મુજબ ખેલાડીએ ખાનગી કોચની માગ કરીને કોઈ ભૂલ કરી નથી. કોર્ટ મનિકાની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, TTFI બિન-પારદર્શક રીતે પસંદગી કરી રહી છે અને તેના સહિત કેટલાક ખેલાડીઓને નિશાન બનાવી રહી છે.
કોર્ટે ટીટીએફઆઈના વકીલને કહ્યું, “ફેડરેશન જે રીતે કામ કરી રહ્યું છે તેનાથી અમે ખુશ નથી. તમે કોઈ કારણ વગર વ્યક્તિ સામે તપાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. શું તમારું ફેડરેશન સ્ટેન્ડ લેવા તૈયાર છે? શું તે (ફેડરેશન) તેને આપવામાં આવેલી કારણ બતાવો નોટિસ પાછી ખેંચવા તૈયાર છે? મેં તપાસ રિપોર્ટ જોયો છે. તે રમી શકે છે અને મેચો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. (કેન્દ્રના અહેવાલમાં) એ છે કે તેના અંગત કોચ માટે પૂછવામાં કંઈ ખોટું નથી. રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, અરજદારને દોષ આપવો યોગ્ય નથી.
વકીલને ફેડરેશન પાસેથી સૂચનાઓ લેવાનો સમય આપતા જસ્ટિસ પલ્લીએ કહ્યું કે, આ સમયે ખેલાડીને તકલીફ ન થવી જોઈએ. દેશ એ સ્થિતિમાં નથી કે ખેલાડીઓ કોર્ટમાં ફરતા હોય… હું ઈચ્છું છું કે તમે તેને ક્લીનચીટ આપો, કહો કે તપાસની કોઈ જરૂર નથી. (કહો) કે તેના તરફથી કોઈ ગેરવર્તણૂક નથી.”
આ પણ વાંચો : BWF ભારતના દિગ્ગજ દિગ્ગજ પ્રકાશ પાદુકોણને વિશેષ સન્માન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માન થશે