
ટી20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ રમી રહી નથી. ત્યાંની સરકારે પોતાની ટીમને આ વર્લ્ડ કપમાં રમવાની મંજૂરી આપી નથી. આ નિર્ણય પાછળ એવો તર્ક આપવામાં આવ્યો હતો કે, બાંગ્લાદેશની ટીમને ભારતમાં યોગ્ય સુરક્ષા મળી શકશે નહીં.
આ દરમિયાન, વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ટીમના સિનિયર આસિસ્ટન્ટ કોચ મોહમ્મદ સલાહુદ્દીને પૂર્વ રમતગમત સલાહકાર આસિફ નઝરુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ખોટા નિર્ણયોએ ખેલાડીઓના સપનાઓને ચૂર-ચૂર કરી દીધા છે.
ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના ન રમવાના નિર્ણય અંગે સલાહુદ્દીને કહ્યું કે, યુવા ખેલાડીઓનું આજીવનનું સપનું એક ઝાટકે તોડી નાખવામાં આવ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે, બે ખેલાડીઓ તો ‘મેન્ટલ કોમા’ જેવી સ્થિતિમાં જતા રહ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, “જ્યારે કોઈ છોકરો વર્લ્ડ કપ રમવા આવે છે, ત્યારે તે પોતાનું 27 વર્ષનું સપનું લઈને આવે છે. તમે એક સેકન્ડમાં તે સપનું તોડી નાખો છો. જો આ દેશહિતનો નિર્ણય હોય તો ખેલાડીઓ બલિદાન આપશે પરંતુ તેનાથી જે વ્યક્તિગત નુકસાન થઈ રહ્યું છે, તેના વિશે પણ વાત કરવી પડશે.”
આ મામલાએ ત્યારે વધુ જોર પકડ્યું, જ્યારે આસિફ નઝરુલના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો. પહેલા તેમણે કહ્યું હતું કે, ભારતમાં મેચ ન રમવાનો નિર્ણય સરકારનો છે. બાદમાં તેમણે દાવો કર્યો કે, આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને ખેલાડીઓ સાથે મળીને લેવામાં આવ્યો હતો, જેથી ‘રાષ્ટ્રીય ગરિમા’ જળવાઈ રહે.
આ બાબતે સલાહુદ્દીને વળતો પ્રહાર કરતા કહ્યું કે, નઝરુલે જાહેરમાં જૂઠું બોલ્યું છે. તેમણે દાવો કર્યો કે, વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય સરકાર દ્વારા લાદવામાં આવ્યો હતો અને તેમાં ખેલાડીઓ કે કોચની કોઈ ભૂમિકા નહોતી.
મોહમ્મદ સલાહુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે, સરકારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડ કપમાં ભાગ ન લેવા માટે મજબૂર કરી હતી. ખેલાડીઓ ન રમી શકવાને કારણે અત્યંત નિરાશ હતા અને તેમાંથી બે ખેલાડીઓ ગંભીર રીતે બીમાર પણ પડ્યા હતા.
બાંગ્લાદેશી કોચે આક્ષેપ કર્યો હતો કે, હવે આસિફ નઝરુલ બધો દોષ ક્રિકેટરો અને કોચ પર ઢોળી રહ્યા છે, જ્યારે વાસ્તવમાં તેમણે જ ટીમને ન રમવા માટે મજબૂર કરી હતી.