
યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી IPL 2026 સીઝનમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે માત્ર 14 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરીને વૈભવે પોતાની આક્રમક બેટિંગથી સૌને ચકિત કરી દીધા હતા. માત્ર 35 બોલમાં સદી ફટકારીને તેણે ક્રિકેટ જગતમાં મોટી સનસનાટી મચાવી હતી.
ગયા 12 મહિનાનો સમય વૈભવ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. આ દરમિયાન તેણે જુનિયર સ્તરે અનેક દેશોની મુલાકાત લીધી અને અનેક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું. અંડર-19 વર્લ્ડ કપ 2026 જીતનાર ભારતીય ટીમમાં પણ તેણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હવે IPL 2026માં પણ તે આ જ ફોર્મ જાળવી રાખે તેવી આશા રાખવામાં આવી રહી છે.
નવી IPL સીઝન શરૂ થવા પહેલા 15 માર્ચે નવી દિલ્હીમાં BCCI નો વાર્ષિક એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં વૈભવ સૂર્યવંશી પણ હાજર રહ્યો હતો. અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ટીમના સભ્ય તરીકે BCCI દ્વારા તેનો સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જ્યારે વૈભવને IPL 2026 માટેના તેના લક્ષ્ય વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે તેનું મુખ્ય ધ્યાન ટીમને ટ્રોફી જીતાડવામાં મદદ કરવાનો છે. ટૂંક સમયમાં 15 વર્ષનો થનાર વૈભવે જણાવ્યું હતું કે, “ટીમ માટે ટ્રોફી જીતવી એ જ મારું સૌથી મોટું લક્ષ્ય છે. જો ટીમ ટ્રોફી જીતશે તો દરેક ખેલાડીનું પ્રદર્શન સારું રહેશે અને હું પણ તેમાં યોગદાન આપી શકીશ.”
IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. રાજસ્થાન રોયલ્સ પોતાની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે, જ્યારે ટીમનો પહેલો મુકાબલો 30 માર્ચે ગુવાહાટીમાં રમાશે. ગયા સિઝનમાં વૈભવ સૂર્યવંશીને મધ્ય સીઝનમાં તક મળી હતી અને તેણે માત્ર સાત મેચમાં 206ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે 252 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 18 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા હતા.
આ વખતે વૈભવ સીઝનની શરૂઆતથી જ ટીમનો ભાગ બનશે, જેના કારણે રાજસ્થાન રોયલ્સ અને તેના ચાહકોને તેની પાસેથી વધુ મોટી અપેક્ષાઓ છે. હવે જોવાનું રહેશે કે આ યુવા ઓપનર ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગથી મેદાનમાં ધમાલ મચાવે છે કે નહીં.
T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનના ડ્રામા પર જય શાહે કહ્યું’કોઈ પણ દેશ ICC થી મોટો નથી
Published On - 9:35 pm, Sun, 15 March 26