
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ત્રીજા દિવસના અંત સુધીમાં ઈંગ્લેન્ડે ઓલીની સદીની મદદથી 316 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બોલરો ઈંગ્લેન્ડની માત્ર 6 વિકેટ લઈ શક્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી પોપ 148 રન અને રેહાન અહેમદ 16 રન સાથે ક્રીઝ પર છે. આ રીતે મહેમાન ટીમે હવે ભારત પર 126 રનની લીડ મેળવી લીધી છે. હવે રમતના ચોથા દિવસે ટીમ ઈન્ડિયા ઓલી પોપને આઉટ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગને વહેલી તકે સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે. કારણ કે જો આ જોડી ક્રિઝ પર રહેશે તો ટીમ ઈન્ડિયાએ મેચ જીતવા માટે ઘણી મહેનત કરવી પડશે.
બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફરી એકવાર ફ્લોપ રહ્યા હતા. ઓપનર બેટ્સમેન બેન ડકેટે ચોક્કસપણે 47 રનનું યોગદાન આપ્યું હતું અને જેક ક્રાઉલી સાથે 45 રનની ભાગીદારી કરી હતી. જો કે આ પછી જો રૂટ, જોની બેયરસ્ટો અને કેપ્ટન બેન સ્ટોક્સ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. સતત પડી રહેલી વિકેટો વચ્ચે ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઓલી પોપે ચાર્જ સંભાળ્યો હતો. ઓલી પોપે મજબૂત બેટિંગ પાર્ટનર બેન ફોક્સ સાથે મળીને 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન પોપે પણ પોતાની સદી પૂરી કરી હતી. ઓલી પોપની ટેસ્ટ ક્રિકેટમાં આ 5મી સદી છે.
ટીમ ઈન્ડિયા તરફથી બીજી ઈનિંગમાં જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને બે-બે વિકેટ લીધી હતી. આ ઉપરાંત પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ એક-એક વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ સિરાજ બીજી ઇનિંગમાં એક પણ વિકેટ લઈ શક્યો નથી.
ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમે તેની પ્રથમ ઈનિંગમાં 436 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 190 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 74 બોલમાં શાનદાર 80 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે 86 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રવિન્દ્ર જાડેજા 87 રન બનાવીને આઉટ થયો હતો.
ઈંગ્લેન્ડની વાત કરીએ તો કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ બેન સ્ટોક્સની અડધી સદીની મદદથી માત્ર 246 રન જ બનાવી શકી હતી.
આ પણ વાંચો : જાડેજાની વિકેટ પર વિવાદ, શું અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો, જાણો શું છે સત્ય
Published On - 4:50 pm, Sat, 27 January 24