
T20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો 15 ફેબ્રુઆરીએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મહાકાવ્ય મેચને લઈને બંને દેશોના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે સાથે, બંને ટીમો પર જીતનું દબાણ પણ વધી ગયું છે.
નામિબિયા સામેની મેચ પહેલા દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તિલક વર્માએ પાકિસ્તાન સામેની તૈયારીઓ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે મેચ યોજાશે કે નહીં તે અંગે શરૂઆતમાં સસ્પેન્સ હતો, પરંતુ ટીમે ક્યારેય પોતાની તૈયારીમાં ઢીલ ન આપી.
તિલક વર્માએ જણાવ્યું, “અમને બે દિવસ પહેલા પાકિસ્તાન સામેની મેચની ખાતરી મળી હતી, પરંતુ અમે પહેલાથી જ તૈયાર હતા. અમે ફક્ત પાકિસ્તાન જ નહીં, પરંતુ ટૂર્નામેન્ટની બધી ટીમોના પ્રદર્શન પર સતત નજર રાખી રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે ટીમના બેટ્સમેન vs બોલરોને ધ્યાનથી જોઈ રહ્યા છે, જ્યારે બોલરો vs બેટ્સમેનની રણનીતિઓ સમજી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે અને આખી ટીમ પાકિસ્તાન સામે રમવા માટે આતુર છે. “આ એક મોટો મુકાબલો છે, પરંતુ અમે તેને એક સામાન્ય મેચ તરીકે લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ,” એમ તેમણે જણાવ્યું.
જો તિલક વર્માના પાકિસ્તાન સામેના T20I રેકોર્ડની વાત કરીએ તો તે ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે. પાકિસ્તાન સામે રમાયેલી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે કુલ 130 રન બનાવ્યા છે, જેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 69 રન રહ્યો છે. આ ઉપરાંત, તેમણે ત્રણ વિકેટ પણ ઝડપી છે, જેના કારણે આવનારી મેચમાં તેઓ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.
એકતરફી મુકાબલામાં શ્રીલંકાની જીત, ઓમાનના બેટ્સમેનો રન માટે તરસ્યા