એશિયા કપ 2022 (Asia Cup 2022) માં ભારતીય ટીમ પોતાની સફર સુપર-4 મેચ માં જ સમાપ્ત કરીને પરત ફરી છે. આ દરમિયાન ભારતીય ટીમને બોલીંગ આક્રમણની સમસ્યા એ પણ પરેશાન કર્યા હતા. ભારતીય ટીમે લક્ષ્ય બચાવવા દરમિયાન બોલીંગને લઈ ખૂબ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ કશ્મકશ સ્થિતીની મેચને પણ ગુમાવવી પડી હતી. પરીણામે એશિયા કપમાં દાવેદાર સાથે દુબઈનો પ્રવાસ ખેડનારી ભારતીય ટીમ વહેલા પરત ફરી હતી. હવે જોકે ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વિશ્વકપ પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને હર્ષલ પટેલ (Harshal Patel) બંને ફિટ હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે.
હાલમાં આ બંને ખેલાડીઓ રિહેબના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને હવે સિલેક્શન માટે પણ ઉપબલ્ધ છે. જોકે વિશ્વકપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. આ દરમિયાન બંને ખેલાડીઓ ઘર આંગણાની સિરીઝમાં રમશે કે કેમ એ અંગે કોઈ જ ચોક્કસ અહેવાલ નથી.
એશિયા કપ માટે દુબઈ પ્રવાસે ભારતીય ટીમ સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ વિના જ પહોંચી હતી. જસપ્રીતને પીઠની સમસ્યા હતી, જ્યારે હર્ષલને સાઈડ સ્ટ્રેનની સમસ્યાએ મુશ્કેલી સર્જી હતી. આમ બંને અનફિટ હોવાને લઈ તેઓ એશિયા કપ ટૂર્નામેન્ટથી દૂર રહ્યા હતા. પરંતુ હવે બંનેની ફિટનેસ સારી છે. જોકે આ બંનેએ હજુ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે. જે ખૂબ જ જલ્દી લેવાઈ શકે છે.
જોકે હાલમાં બંને બેંગલુરુમાં એનસીએમાં મોજૂદ છે. જ્યાં તેઓએ ફિટનેસ પર પુરુ ધ્યાન આપી રહ્યા છે. જ્યાં તેમની પર સંપૂર્ણ નજર રાખીને તેમની ફિટનેસ માટે દેખરેખ રખાઈ રહી છે. આ સ્થિતીમાં તેઓ સારી રીતે બોલીગ પણ કરી રહ્યા હોવાના અહેવાલ છે.
ભારતીય ટીમ એશિયા કપ 2022 માં 4 ઝડપી બોલરો ધરાવતી હતી. જેમાં અનુભવી બોલર ભૂવનેશ્વર કુમાર સાથે યુવા સ્ટાર બોલર અર્શદીપ સિંહ અને આવેશ ખાન સામેલ હતો. આ સાથે જ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો પણ સાથ હતો. આ જસપ્રીત બુમરાહ પરત ફરતા જ આવેશ ખાન હવે ટી20 વિશ્વકપ માટેની સ્કવોડમાં સામેલ નહીં શકે એવી સંભાવના છે. અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ સ્કવોડમાં સામેલ થઈ શકે એવી પૂરી શક્યતાઓ તેમના પ્રદર્શન પરથી લાગી રહી છે. ટૂંક સમયમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વકપ સ્કવોડ અને ઓસ્ટ્રેલિયા સામેની ઘર આંગણે રમાનારી ટી20 સિરીઝ માટેની ટીમ જાહેર કરશે.
Published On - 10:34 am, Sun, 11 September 22