ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં તમામ સ્તરે શાનદાર દેખાવ કરી રહી છે. અંતમાં એશિયા કપ દરમિયાન ભારતની સુપર-4 તબક્કામં સફર પુર્ણ થઈ ગઈ હતી, પરંતુ આ પહેલા ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સહિતના વિદેશ પ્રવાસમાં ભારતીય ટીમે વાહ વાહી મેળવી છે. ભારતીય સ્ટાર ખેલાડીઓ જ નહીં પરંતુ યુવા ખેલાડીઓએ પણ પોતાની પ્રતિભાની ઓળખ દરેક વખતે કરાવી છે. એશિયા કપમાં સંઘર્ષની સ્થિતીમાં અર્શદીપ સિંહ તેનુ જ ઉદાહરણ છે. પરંતુ ટી20 વિશ્વકપ (T20 World Cup) પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કેટલાક પદ પરના અધિકારીઓને ભારતીય ખેલાડીની પ્રતિભા થી પેટમાં તેલ રેડાઈ રહ્યુ છે, તેમની અકળામણ સમયની રાહ જોયા વિના જ બહાર આવતી રહે છે. આવી જ રીતે હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર મોહમ્મદ વાસીમે (Mohammad Wasim) પોતાની હલકી માનસીકતા ભર્યુ નિવેદન કર્યુ છે.
આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના ખેલાડીઓની સારવારના મામલાને લઈ વિશ્વભરમાં ચર્ચામાં છે. આવા સમયે મોહમ્મદ વાસિમે ભારતીય ટીમને બિલિયન ડોલર ટીમ ગણાવી દીધી છે. પાકિસ્તાનના ખેલાડીઓ હાલમાં લંડનમાં સારવાર પોતાના ખર્ચે જઈને કરાવી રહ્યા છે. એ વાતનો ઘટસ્ફોટ શાહિદ આફ્રિદીએ ટીવી ડિબેટમાં કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતી જાહેર કરી દીધી, સાથે જ બોર્ડના અધિકારીઓની નિષ્કાળજીનો પરિચય પણ દુનિયાને કરાવી દીધો હતો.
ભારતીય ટીમને બિલિયન ડોલર ગણાવવાનો મામલો વાસિમની ટિકાકારોને જવાબ આપવામાં બડાઈઓ હાંકવા દરમિયાન સામે આવ્યો છે. વાસિમના ટીમ સિલેક્શનને લઈ હાલમાં પાકિસ્તાનના દિગ્ગજો એ સવાલો ઉઠાવ્યા છે. શોએબ અખ્તરે ટીમ શરુઆતના તબક્કામાં જ ફેંકાઈ જશે એમ કહ્યુ હતુ. હવે ચીફ સિલેક્ટર વાસિમ ટિકાકારોને જવાબ આપવા માટે આકરાપણાને દર્શાવવાના પ્રયાસમાં હડબડી ગયો છે. તો જવાબ આપીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આર્થિક સ્થિતીને યાદ કરાવી પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડને ક્ષોભજનક સ્થિતીમાં મુકી દીધુ.
તેણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે, ભારત એક બિલિયન ડોલર ટીમ છે. જોકે અમે પાછળના વર્ષે અને હાલમાં એશિયા કપમાં બતાવ્યુ કે આ ટીમ જીતવા માટે સક્ષમ છે. મને પૂરો વિશ્વાસ છે કે, તે વિશ્વ કપમાં ચાહકોને ખુશ કરવાની પળો આપતા રહેશે. આગળ પણ કહ્યુ કે, મને લાગે છે કે, તમારે સકારાત્મક વાતો પર પણ ધ્યાન આપવાની જરુર છે, કે અમે પાછળના વર્ષે ટી20 વિશ્વકપની સેમિફાઈનલ અને એશિયા કપની ફાઈનલ રમી છે. આમ ખરાબ પ્રદર્શનના આધાર પર ટીમને પૂર્ણ રીતે બહાર કરવી એ નિષ્પક્ષ નહીં હોય.
Published On - 9:08 am, Mon, 19 September 22