
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને દેશના વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોની સ્વાયત્તતાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો અને કડક સવાલ ઉઠાવ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચે રાજ્ય ક્રિકેટ એસોસિએશનોની અરજીઓ પર સુનાવણી કરતાં BCCIને પૂછ્યું કે BCCI અને તેની સાથે જોડાયેલા રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ 2025ના દાયરામાં શા માટે ન લાવવા જોઈએ?
કોર્ટે BCCI અને રાજ્ય ક્રિકેટ સંઘો તરફથી રજૂ થયેલા વકીલોને સ્પષ્ટ આદેશ આપ્યો કે તેઓ પોતાના ક્લાયન્ટ્સ પાસેથી આ બાબતે સૂચના મેળવે કે હવે અમલમાં આવેલા આ કાયદા હેઠળ તેમના હોદ્દેદારોની સેવા સંબંધિત શરતો અને નિયમો કેમ નક્કી ન કરવા જોઈએ.સુપ્રીમ કોર્ટના આ કડક વલણ બાદ BCCIના વકીલો ટૂંક સમયમાં આ મામલે પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કરે તેવી શક્યતા છે. જોકે, આ નવા નોટિસ અંગે બોર્ડના ટોચના અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ઓડિશા હાઈકોર્ટમાં ઓડિશા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંબંધિત એક કેસમાં BCCI અગાઉ જ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે.
BCCIએ તેના સોગંદનામામાં દલીલ કરી હતી કે નેશનલ સ્પોર્ટ્સ ગર્વનન્સ એક્ટ 2025 અમલમાં હોવા છતાં, ક્રિકેટને આ કાયદા હેઠળ નિયુક્ત રમત તરીકે સૂચિત કરવામાં આવ્યું નથી. બોર્ડ લાંબા સમયથી કહે છે કે તેને કેન્દ્ર કે રાજ્ય સરકારો તરફથી કોઈ સરકારી ગ્રાન્ટ મળતી નથી. સંપૂર્ણપણે આર્થિક રીતે આત્મનિર્ભર હોવાથી, તે સરકારી રમતગમત કાયદાઓ કે નિયમોને આધીન ન હોવું જોઈએ.
આ કાયદાના દાયરામાં આવવાથી નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન RTI હેઠળ આવી શકે છે, જેનાથી નાણાકીય વ્યવહારો અને એડમિનિસ્ટ્રેટિવ નિર્ણયો માટે જાહેર જવાબદારી સુનિશ્ચિત થઈ શકે છે. BCCI આ કલમનો સખત વિરોધ કરી રહ્યું છે. હાલમાં, BCCI લોઢા સમિતિની ભલામણોનું પાલન કરે છે. આ અંતર્ગત, કોઈપણ પદાધિકારી સતત બે કાર્યકાળ માટે પદ સંભાળી શકે છે, ત્યારબાદ તેમને ત્રણ વર્ષના કૂલિંગ-ઓફ સમયગાળામાંથી પસાર થવું પડશે. જો સુપ્રીમ કોર્ટ BCCI ને નવા નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ હેઠળ લાવવાનો આદેશ આપે છે, તો ભારતીય ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.