Serious Injury Replacement: રિષભ પંતની ઈજાની અસર, BCCI લાવ્યું નવો નિયમ

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની ઈજાને કારણે ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલુ ક્રિકેટમાં એક નવો નિયમ રજૂ કર્યો છે. જે પહેલા ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લાગુ થશે અને ત્યારબાદ IPL અને અન્ય મોટી ટુર્નામેન્ટ અંગે નિર્ણય લેવાશે.

Serious Injury Replacement: રિષભ પંતની ઈજાની અસર, BCCI લાવ્યું નવો નિયમ
Rishabh Pant & BCCI
Image Credit source: PTI
| Updated on: Aug 16, 2025 | 5:45 PM

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન વિકેટકીપિંગ કરતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી. જે બાદ માન્ચેસ્ટર ટેસ્ટમાં પંતને પગમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. પંતની ઈજાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી દીધી હતી. જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે હવે આગામી સ્થાનિક સિઝન પહેલા એક નવો નિયમ બનાવ્યો છે.

BCCIનો સીરિયસ ઈન્જરી રિપ્લેસમેન્ટ નિયમ

ભારતીય ક્રિકેટ બોર્ડે ઘરેલુ ક્રિકેટમાં મલ્ટી-ડે મેચો માટે નવો ‘સીરિયસ ઈન્જરી રિપ્લેસમેન્ટ’ રજૂ કર્યો છે. આ નિયમ 2025-26 સિઝનથી અમલમાં આવશે અને મલ્ટી-ડે ફોર્મેટમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ માટે રિપ્લેસમેન્ટ આપવામાં આવશે. રિષભ પંતની ઈજાને કારણે BCCI આ દિશામાં પગલા લેવા માટે પ્રેરિત થયું છે. નવા નિયમ હેઠળ, જો કોઈ ખેલાડી મલ્ટી-ડે મેચ દરમિયાન ગંભીર ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ જાય છે, તો ટીમ મેનેજમેન્ટ તેની જગ્યાએ સમાન લાયકાત ધરાવતા ખેલાડીને સ્થાન આપી શકશે. આ રિપ્લેસમેન્ટ તાત્કાલિક લાગુ થશે, આ માટે પસંદગી સમિતિ અને મેચ રેફરીની મંજૂરી લેવી પડશે.

આ ટુર્નામેન્ટથી નિયમ લાગુ થશે

ગંભીર ઈજાના રિપ્લેસમેન્ટ નિયમથી ખાતરી થશે કે ઈજાના કારણે ટીમની રણનીતિ પ્રભાવિત ન થાય અને રમતનું સ્તર જળવાઈ રહે. અમદાવાદમાં ચાલી રહેલા અમ્પાયર્સ સેમિનારમાં, અમ્પાયર્સને રમતની લેટેસ્ટ સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે. BCCIએ કહ્યું કે સફેદ બોલ ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી અથવા વિજય હજારે ટુર્નામેન્ટમાં આવી કોઈ રિપ્લેસમેન્ટની મંજૂરી આપવામાં આવશે નહીં. IPLની આગામી સિઝનમાં આ નિયમને મંજૂરી આપવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી, પરંતુ આ નિયમ CK નાયડુ ટ્રોફી માટે મલ્ટી-ડે અંડર 19 ટુર્નામેન્ટમાં લાગુ થશે.

ICCનો નિયમ શું છે?

ICCના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે ત્યારે જ રિપ્લેસમેન્ટ આપવામાં આવે છે. હવે કન્કશનમાં નિયમ એ છે કે જો કોઈ ખેલાડી આ કારણોસર બહાર હોય, તો તે 7 દિવસ સુધી કોઈ મેચ રમી શકશે નહીં. ક્રિકેટના નિયમો અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે અને તે રમવાનું ચાલુ રાખી શકતો નથી ત્યારે કન્કશન સબસ્ટિટ્યુટ લાગુ પડે છે.

આ પણ વાંચો: BCCIના આંતરિક રાજકારણનો ભોગ… રોહિત-વિરાટની નિવૃત્તિ પર ચોંકાવનારો દાવો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો