
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે શ્રેયસ અય્યરને ભારતનો નવો T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવા પર પ્રતિક્રિયા આપી છે. ટીમની જાહેરાત થાય તે પહેલાં જ સમાચાર આવ્યા હતા કે અય્યરને નેતૃત્વની ભૂમિકા સોંપવામાં આવશે. સૂર્યકુમાર યાદવે માત્ર પોતાની કેપ્ટનશીપ ગુમાવી નથી, પરંતુ તેને T20 ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતે તેની કેપ્ટનશીપ હેઠળ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
યુટ્યુબ ચેનલ પર વાત કરતાં અશ્વિને અય્યરને સીધા કેપ્ટન બનાવવાના નિર્ણય પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યો છે. અશ્વિને કહ્યું કે અય્યર T20 ટીમમાં સ્થાન મેળવવા માટે લાયક છે પરંતુ પસંદગીકારો અચાનક તેને કેપ્ટનશિપ માટે સૌથી યોગ્ય ઉમેદવાર કેમ માની રહ્યા છે તે સમજાતું નથી. અશ્વિનના મતે ભારતની T20 ટીમ પહેલેથી જ સંતુલિત છે અને તેમાં એવી કોઈ મોટી ખામી નથી કે જેના કારણે મોટા ફેરફારો કરવાની જરૂર પડી શકે. અશ્વિને વધારામાં જણાવ્યું કે સ્પિન બોલિંગ વિકલ્પોને લઈને થોડી ચિંતા સિવાય ટીમ મજબૂત અને સ્થિર છે. તેથી કેપ્ટનશિપમાં આટલો મોટો બદલાવ સમજણ બહારનો છે.
અશ્વિને IPLમાં અય્યરના કેપ્ટન તરીકેના પ્રદર્શનની પ્રશંસા પણ કરી. અય્યરના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ખિતાબ જીત્યો હતો અને પંજાબ કિંગ્સ ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે અશ્વિનના મતે રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપ માત્ર ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં મળેલી સફળતાના આધારે નક્કી કરવામાં આવી નહીં જોઈએ. અશ્વિને સૂર્યકુમાર યાદવના બેટિંગ ફોર્મનો પણ બચાવ કર્યો છે. તેમણે ભૂતકાળના મહાન કેપ્ટનોના ઉદાહરણ આપતાં કહ્યું કે માત્ર ખરાબ ફોર્મને આધારે કોઈ કેપ્ટનને હટાવી દેવું યોગ્ય નથી. તેના બદલે જરૂર પડે તો સૂર્યકુમારને બેટ્સમેન તરીકે સ્પષ્ટ ભૂમિકા આપવી જોઈએ.
અશ્વિને વારંવાર કેપ્ટનશીપમાં ફેરફારને કારણે થતી અસ્થિરતા વિશે પણ ચેતવણી આપી છે. અશ્વિને કહ્યું કે લાંબા ગાળાની સફળતા માટે સુસંગતતા જરૂરી હોય છે. મુખ્ય અને મોટી ટુર્નામેન્ટમાં અનુભવી મેચ-વિનર્સ ખેલાડીઓ પર ભાર મૂક્યો છે. નોંધનીય છે કે ભારતના T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું રેકોર્ડ શાનદાર રહ્યું છે. તેણે 52 મેચોમાંથી 40 મેચોમાં ટીમને જીત અપાવી છે.