ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) એ મેચોના વધતા દબાણને કારણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. બેન સ્ટોક્સના આ નિર્ણય બાદ ટી20 ક્રિકેટ (T20 Cricket) ના વધતા પ્રભાવને લઈને ચર્ચા ચાલી રહી છે. ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ દ્વિપક્ષીય T20 શ્રેણી ઘટાડવાની માંગ કરી છે. ભારતીય ટીમના પુર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે T20 મેચો માત્ર ફ્રેન્ચાઈઝી ક્રિકેટ સુધી જ સીમિત હોવી જોઈએ.
ICC એ 2023 અને 2027 વચ્ચે નક્કી કરેલા શેડ્યૂલમાં ટીમો વધુ T20 મેચ રમશે. ICC એ તેના શેડ્યૂલમાં 5 T20 મેચોની 15 શ્રેણીનો સમાવેશ કર્યો છે. તેમાંથી ટીમ ઈન્ડિયા 9 ટી20 સીરીઝમાં ભાગ લેવા જઈ રહી છે. ICC T20 શ્રેણી દ્વારા વધુ કમાણી કરવા માંગે છે.
ભારતીય ટીમના પુર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું કહેવું છે કે કેલેન્ડર વર્ષમાં ટી-20 સિરીઝને આટલી જગ્યા આપતી વખતે સાવધાન રહેવાની જરૂર છે. ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, “હું આટલી બધી દ્વિપક્ષીય T20 શ્રેણી કરાવવાના પક્ષમાં નથી. ફ્રેન્ચાઇઝ ક્રિકેટને પ્રોત્સાહન મળી રહ્યું છે. ભારત, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન બધે જ આવું થઈ રહ્યું છે. તમે વર્લ્ડ કપમાં સ્થાન આપો અને પછી તમે તેના પર સંપૂર્ણ ધ્યાન રાખશો.
આપને જણાવી દઈએ કે નિવૃત્તિની જાહેરાત કરતી વખતે બેન સ્ટોક્સે કહ્યું હતું કે, કામના ભારણને કારણે તેના માટે ત્રણેય ફોર્મેટમાં રમવું મુશ્કેલ બની રહ્યું છે. બેન સ્ટોક્સે કહ્યું કે, કામના ભારણને કારણે તે ODI ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે અને તેનું તમામ ધ્યાન હવે T20ની સાથે ટેસ્ટ ક્રિકેટ પર રહેશે.
બેન સ્ટોક્સ (Ben Stokes) ના આ નિર્ણય બાદ વનડે ક્રિકેટના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું સૂચન આ ચિંતાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.