કોરોના વાયરસ (Corona Virus)ની અસર ફરીથી ભારતની સ્થાનિક સિઝન પર અસર થવા લાગી છે. ગયા અઠવાડિયે અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી મુલતવી રાખ્યા બાદ, હવે દેશની સૌથી પ્રખ્યાત ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી (Ranji Trophy) પણ વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) સંક્રમણના મામલાઓમાં થયેલા વધારાને જોતા રણજી ટ્રોફીની શરૂઆત હાલ માટે રોકવાનો નિર્ણય લીધો છે.
આ ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, પરંતુ BCCIએ તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. રણજી ટ્રોફી ઉપરાંત મહિલા ટૂર્નામેન્ટ અને અંડર-25 ટૂર્નામેન્ટની શરૂઆત પણ રોકી દેવામાં આવી છે. જોકે, બોર્ડે અંડર-19 કૂચ બિહાર ટ્રોફી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ટુર્નામેન્ટની નોકઆઉટ મેચો રમાઈ રહી છે.
સતત બીજા વર્ષે કોરોનાની અસર રણજી ટ્રોફી પર પડી છે. ગયા વર્ષે કોરોનાના બીજી લહેરને કારણે બોર્ડે ટૂર્નામેન્ટ રદ કરી દીધી હતી. 1934-35માં ભારતની આ ફર્સ્ટ ક્લાસ ટૂર્નામેન્ટની શરૂઆત થયા પછી, ટૂર્નામેન્ટનું આયોજન સતત 85 વર્ષ સુધી કરવામાં આવ્યું અને પછી પ્રથમ વખત એક પણ મેચ વિના તેને રદ કરવી પડી. હવે સતત બીજા વર્ષે તેના રદ થવાનો ભય છે. જોકે, બોર્ડ હાલમાં તેને થોડા દિવસો માટે જ મુલતવી રાખવા માંગે છે.
38 ટીમોની આ ટૂર્નામેન્ટ 13 જાન્યુઆરીથી દેશના વિવિધ ભાગોમાં શરૂ થવાની હતી. ગ્રુપ સ્ટેજની મેચો સૌપ્રથમ મુંબઈ, થાણે, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર અને ત્રિવેન્દ્રમમાં રમાનારી હતી. ન્યૂઝ એજન્સીએ ટુર્નામેન્ટ આયોજક સમિતિના એક સભ્યને ટાંકીને કહ્યું, “હા રણજી ટ્રોફી રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તે 13 જાન્યુઆરીથી શરૂ થઈ શકશે નહીં.”
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટ્સમાં કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. 3 જાન્યુઆરીએ દેશમાં ચેપના 37 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જે છેલ્લા લગભગ 4 મહિનામાં સૌથી વધુ છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈમાં સંક્રમણમાં વધારો થયો છે.
Published On - 9:51 pm, Tue, 4 January 22