ટીમ ઈન્ડિયા (Team India) ના મુખ્ય કોચ બન્યે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને લગભગ 8 મહિના પૂરા થઈ ગયા છે. બેંગ્લોરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી શ્રેણીની પાંચમી અને અંતિમ ટી20 મેચ પહેલા રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ તરીકેની પોતાની સફર વિશે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ દ્રવિડે મજાકમાં કહ્યું હતું કે તેણે શરૂઆતમાં વિચાર્યું ન હતું કે તેણે 6 સુકાની સાથે કામ કરવું પડશે.
રાહુલ દ્રવિડે કહ્યું કે, આ સફર અત્યાર સુધી શાનદાર રહી છે. કેટલાક પડકારો પણ હતા. કારણ કે તેણે વિચાર્યું ન હતું કે તેણે પહેલા 8 મહિનામાં 6 કેપ્ટન સાથે કામ કરવું પડશે. પરંતુ કોરોનાના યુગમાં આ સામાન્ય બની ગયું છે. કારણ કે તમારે વર્કલોડને મેનેજ કરવાનું છે. ખેલાડીઓ, દરેક વ્યક્તિ અને કેપ્ટન્સી પણ આમાં સામેલ થાય છે.
તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ પછી રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચનું પદ સંભાળ્યું હતું. ત્યારથી તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, અજિંક્ય રહાણે, ઋષભ પંત, શિખર ધવનની સુકાની પદ હેઠળ કોચ તરીકે કામ કર્યું છે.
કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, અલગ-અલગ સુકાની સાથે કામ કરવું એક પડકાર છે. પરંતુ નવા લીડરોને તૈયાર કરવા માટે તે ઉત્તમ છે. એક ગ્રુપ તરીકે આપણે શીખી રહ્યા છીએ અને આપણે સતત સુધારો કરવો પડશે.
રાહુલ દ્રવિડે અહીં પોતાના કોચિંગ કાર્યકાળની સૌથી મોટી નિરાશા પણ જણાવી. તેણે કહ્યું કે સાઉથ આફ્રિકાનો પ્રવાસ નિરાશાજનક હતો. કારણ કે ત્યાં અમે 1-0 થી આગળ હતા અને ત્યાર બાદ પણ અમે શ્રેણી જીતી શક્યા નહીં. તે પણ જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અનુસાર તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. પરંતુ અમારી સફેદ બોલની ક્રિકેટમાં ઘણો સુધારો થયો છે.
રાહુલ દ્રવિડે સાઉથ આફ્રિકા સાથે ચાલી રહેલી શ્રેણી વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે, ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરી છતાં અમે અહીં સીરિઝમાં વાપસી કરવામાં સફળ રહ્યા. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડની સામે આગામી મોટો પડકાર ઈંગ્લેન્ડનો પ્રવાસ છે. ત્યાર બાદ આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ છે.