
રાવલપિંડીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો પહેલો દાવ સમાપ્ત થઈ ગયો છે. ભારતીય મૂળના અને દક્ષિણ આફ્રિકા તરફથી રમતા ભગવાન હનુમાનના ભક્તે પાકિસ્તાનની પહેલી ઇનિંગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વાત એમ છે કે, દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના ક્રિકેટર કેશવ મહારાજ ભગવાન હનુમાનના ભક્ત છે અને હિન્દુ ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. જો કે, હાલમાં તે રાવલપિંડી ટેસ્ટમાં ધમાલ મચાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, કેશવ મહારાજે ઈજામાંથી પરત ફરતા જ આ કારનામું કર્યું છે.
દક્ષિણ આફ્રિકાના સ્પિનર કેશવ મહારાજને Groin Injuryની ઈજા થઈ હતી. આ ઈજાને કારણે, તે લાહોરમાં પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં રમી શક્યો ન હતો, જેમાં દક્ષિણ આફ્રિકા 93 રનથી હારી ગયું હતું. જો કે, મહારાજે રાવલપિંડીમાં સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરીને પાકિસ્તાનની કમર તોડી નાખી છે.
કેશવ મહારાજે પાકિસ્તાન સામે રાવલપિંડી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 42.4 ઓવરમાં 102 રન આપીને 7 વિકેટ લીધી. આ તેના નવ વર્ષના ટેસ્ટ કરિયરમાં 12મી વખત છે, જ્યારે તેણે એક ઇનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ પહેલા કેશવ મહારાજે વર્ષ 2022 માં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં બે વાર એક ઇનિંગમાં સાત વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.
પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ 333 રનમાં સમેટાઇ ગઈ હતી. પાકિસ્તાને બીજા દિવસની શરૂઆત 5 વિકેટે 259 રનથી કરી પરંતુ બાકીની 5 વિકેટ માત્ર 74 રનમાં ગુમાવી દીધી. આના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે હાલ 4 વિકેટ ગુમાવી છે અને 61 ઓવરમાં 176 રન કર્યા છે. જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા હજુ પણ 157 રન પાછળ છે અને 6 વિકેટ હાથમાં છે.