ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI)ના ટ્રેઝરર અરુણ ધૂમલે (Arun Dhumal) કહ્યું છે, કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે નવી ટીમો માટે વૈશ્વિક રસ દર્શાવે છે કે તે સૌથી મોટી ‘મેક ઈન ઈન્ડિયા’ બ્રાન્ડ છે. તમને જણાવી દઈએ કે BCCIએ IPLની બે નવી ટીમો વેચીને 12 હજાર કરોડથી વધુની કમાણી કરી છે. CVC કેપિટલ્સ પાર્ટનર્સે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી ખરીદી હતી જ્યારે RPSG વેન્ચર્સે લખનૌ ફ્રેન્ચાઇઝી માટે રૂ. 7090 કરોડની બિડ લગાવી હતી. સુપ્રસિદ્ધ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડના માલિકોએ પણ આઈપીએલનો ભાગ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ ટીમ ખરીદવાની રેસમાં તેઓ પાછળ પડી ગયા.
ધૂમલે મીડિયા રિપોર્ટમાં કહ્યું, આપણા બધા ભારતીયોને ગર્વ હોવો જોઈએ કે આઈપીએલે ઘણી પ્રગતિ કરી છે અને તે હવે કેવી રીતે વૈશ્વિક સ્પોર્ટ્સ બ્રાન્ડ બની ગઈ છે. આઈપીએલ પર માન્ચેસ્ટર યુનાઈટેડ અને સીવીસીના માલિકોની નજર બધું જ કહી દે છે. આ સૌથી મોટી ‘મેક ઈન ઈન્ડિયા’ બ્રાન્ડ છે જે દેશે ઉત્પાદિત કરી છે અને આપણે બધાને તેના પર ગર્વ હોવો જોઈએ. ધુમલ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય પણ છે.
ધૂમલે કહ્યું, ‘સંખ્યાને ભૂલી જાઓ, તેણે દુનિયાને બતાવી દીધું છે કે અમે આટલી મોટી ટૂર્નામેન્ટનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં સક્ષમ છીએ. શ્રેષ્ઠ ખેલાડીઓ તેનો ભાગ બનવા માંગે છે. તેણે તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવાની રીત પણ બદલી નાખી છે. ભાવ નક્કી કરવા માટે બજાર શ્રેષ્ઠ સ્થળ છે. અમે વિશ્વની સામે સંપત્તિ મૂકી અને લોકોએ તેની કિંમત નક્કી કરી. તમે કહી શકો છો કે 2008 (પ્રથમ સિઝન)ના આંકડા શાનદાર હતા, પરંતુ જુઓ કે તેણે આઠ ફ્રેન્ચાઇઝીસનું શું કર્યું છે.
IPLના મીડિયા અધિકારો, જે અગાઉના ચક્રમાં રૂ 16,000 કરોડથી વધુમાં વેચાયા હતા. તે ટૂંક સમયમાં ફરી એકવાર વેચાણ માટે આવશે અને 2023-2027ના ચક્ર માટે રૂ. 30,000 કરોડનો આંકડો પાર થઈ શકે છે. IPL 2022 ની હરાજી પર, ધૂમલે કહ્યું કે પ્રક્રિયા નવી ટીમો સહિત તમામ ટીમો માટે યોગ્ય રહેશે. ફ્રેન્ચાઇઝીઓ હરાજી પહેલા ચાર જેટલા ખેલાડીઓને જાળવી રાખે તેવી અપેક્ષા છે.
જ્યારે રાઇટ ટુ મેચ કાર્ડ ત્યાં રહેશે નહીં. ધૂમલે કહ્યું, અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે સુનિશ્ચિત કરીશું કે નવી ટીમો સહિત દરેકને તેમની ટીમ તૈયાર કરવાની યોગ્ય તક મળે. ટૂર્નામેન્ટમાં સ્પર્ધા હોવી જોઈએ, તેથી જ લોકો IPL જુએ છે.
Published On - 9:54 pm, Thu, 28 October 21