
IPL 2026 સીઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ટુર્નામેન્ટની પ્રથમ મેચ 28 માર્ચે રમાવાની છે. દરેક વર્ષની જેમ આ સીઝનમાં પણ કેટલાક નવા નિયમ-કાનૂન જોડાઈ રહ્યા છે. આ વખતે ઇમ્પેક્ટ પ્લેયર જેવો કોઈ મોટો બદલાવ નથી આવ્યો, પરંતુ બોલના ઉપયોગને લઈને એક એવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, જે મેચોને વધુ રોમાંચક બનાવી દેશે. ખાસ કરીને, બીજી ઇનિંગમાં બોલિંગ કરનારી ટીમને આનાથી ઘણી મદદ મળશે. પણ આખરે આ નિયમ છે શું?
ચાલો તમને વિસ્તારથી જણાવીએ, ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, BCCIએ બધી ટીમોને જણાવ્યું છે કે મેચ દરમિયાન જો બોલ ખોવાઈ જાય અથવા તો બોલ હાલત અત્યંત ખરાબ થઈ જાય તો અમ્પાયર તેને બદલી શકે છે. સાથે જ અમ્પાયર તેના વિશે બૅટ્સમેન અને ફિલ્ડિંગ કેપ્ટનને જણાવશે.
પરંતુ આ સિવાય બીજી ઇનિંગમાં બોલ બદલવાનો એક મોટો અને મહત્વનો નિયમ છે, જે મેચો પર મોટી અસર કરી શકે છે. આ મુજબ, સાંજે રમાતી મેચોમાં બીજી ઇનિંગમાં બોલિંગ કરી રહેલી ટીમ 10મી ઓવર પછી એકવાર બોલ બદલવાની માંગ કરી શકે છે. જોકે, બોલ બદલવાની આ માંગ માત્ર એક જ વાર કરી શકાશે.આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે અવારનવાર સાંજની મેચોમાં ઝાકળ (Dew) ને કારણે બોલ ભીનો થઈ જાય છે, જેના કારણે ફિલ્ડિંગ કરનારી ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ આ નિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ બોલ બદલવા માટે ઝાકળ હોવી જરૂરી નથી.
જોકે, આમાં પણ એક શરત છે. ફિલ્ડિંગ કરી રહેલી ટીમ બોલ બદલવાની માંગ માત્ર ઓવર પૂરી થયા પછી જ કરી શકે છે. ઓવરની વચ્ચે બોલ બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સાથે જ, આ સ્થિતિમાં ફિલ્ડિંગ ટીમને નવો બોલ મળશે નહીં, પરંતુ તેના જેવી જ સ્થિતિવાળો (સમાન ઘસારો ધરાવતો) બીજો બોલ આપવામાં આવશે. જોકે એ પણ સ્પષ્ટ છે કે, જો ત્યારબાદ પણ બોલની સ્થિતિ વધુ બગડે છે, તો અમ્પાયરો પોતાની સમજ અને જરૂરિયાત મુજબ બોલ બદલવાનો નિર્ણય લઈ શકે છે.
ODI World Cup 2027માં નહીં રમે આ ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં ગત વર્લ્ડ કપની સરખામણીએ જોવા મળી શકે છે 5 નવા ચહેરા