IPL નો દિગ્ગજ ખેલાડી KKR માં થયો સામેલ, IPL 2026 માટે મોટી જવાબદારી મળી

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026 સિઝન પહેલા તેમના કોચિંગ સ્ટાફમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં પૂર્વ આસિસ્ટન્ટ અભિષેક નાયરને તેના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે અને હવે બે વખતના IPL ચેમ્પિયનને આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યો છે.

IPL નો દિગ્ગજ ખેલાડી KKR માં થયો સામેલ, IPL 2026 માટે મોટી જવાબદારી મળી
Shane Watson
Image Credit source: ESPN
| Updated on: Nov 13, 2025 | 4:02 PM

IPL 2026 ઓકશન પહેલા ફ્રેન્ચાઈઝીઓ આગામી સિઝન પહેલા પોતાને મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે. આને ધ્યાનમાં રાખીને કોલકાતા નાઈટ રાઈડર્સે એક મોટું પગલું ભર્યું છે. ત્રણ વખતના ચેમ્પિયન KKR એ તેના કોચિંગ સ્ટાફમાં સુધારો કરવાનું ચાલુ રાખ્યું છે અને ફેમસ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસનને તેમના નવા આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કર્યો છે.

 

વોટસન KKRનો આસિસ્ટન્ટ કોચ

2026 માં IPL ટાઈટલ જીતવાનું લક્ષ્ય રાખતી કોલકાતાએ ગુરુવાર, 13 નવેમ્બરના રોજ વોટ્સનની આસિસ્ટન્ટ કોચ તરીકે નિમણૂકની જાહેરાત કરી. KKR માં વોટ્સનનું સ્વાગત કરતા ફ્રેન્ચાઈઝીના CEO વેંકી મૈસૂરએ કહ્યું કે ખેલાડી અને કોચ તરીકે ઓસ્ટ્રેલિયન દિગ્ગજનું T20 ક્રિકેટનું જ્ઞાન કોલકાતા માટે ખૂબ ઉપયોગી થશે. વોટસને KKR કોચિંગ સ્ટાફ સાથે કામ કરવા બદલ ઉત્સાહ વ્યક્ત કર્યો અને ફ્રેન્ચાઈઝીને તેના ચોથા ટાઈટલ સુધી લઈ જવાની તૈયારી બાતાવી છે.

IPLમાં વોટસનનો જોરદાર રેકોર્ડ

IPL ઈતિહાસના શ્રેષ્ઠ વિદેશી ખેલાડીઓમાંનો એક શેન વોટસને તેની કારકિર્દી દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સની ચેમ્પિયન તરીકેની પ્રથમ સિઝનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવ્યો હતો. હકીકતમાં, તેની શ્રેષ્ઠ ઈનિંગ્સમાંની એક 2015 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હતી, જેમાં તેણે 104 રન બનાવ્યા હતા. તે 2016 અને 2017 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમ્યો હતો, અને 2018માં તે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો હતો. તેણે તેની ડેબ્યૂ સિઝનમાં 555 રન બનાવ્યા હતા, જેનાથી ટીમને ટાઈટલ જીતવામાં મદદ મળી હતી. કુલ મળીને, વોટસને 145 IPL મેચ રમી છે, જેમાં 3,874 રન બનાવ્યા છે અને 92 વિકેટ લીધી છે.

KKR કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફાર

થોડા દિવસો પહેલા જ KKR એ અભિષેક નાયરને તેમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. અભિષેક નાયર પૂર્વ કોચ ચંદ્રકાંત પંડિતનું સ્થાન લેશે, જેમણે ગયા સિઝન પછી રાજીનામું આપ્યું હતું. નાયરે અગાઉ KKR માં પંડિત સાથે સહાયક કોચ તરીકે સેવા આપી હતી, જે બાદ તે પાછળથી ટીમ ઈન્ડિયાનો સહાયક કોચ પણ બન્યો હતો. જોકે, તેને માત્ર આઠ મહિના પછી ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ લાઈવ ક્યારે અને ક્યાં જોવી?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો