IPL 2022 માં જો કોઈ ટીમે સૌથી વધુ ચોંકાવનારું કર્યું હોય તો તે હતું ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans). IPLમાં આ ટીમ પહેલીવાર પ્લેઓફમાં પણ પહોંચી છે. ટીમની ઘણી વિશેષતાઓમાંથી એક તેનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે, જે પોતે પ્રથમ વખત IPL માં ટીમની કમાન સંભાળી રહ્યો છે. હાર્દિક છેલ્લા 7 વર્ષથી ભારતીય ક્રિકેટનો મહત્વનો હિસ્સો રહ્યો છે અને બધાએ નોંધ્યું છે કે હાર્દિક તેનું ક્રિકેટ ખૂબ જ જુસ્સાથી અને ક્યારેક ભાવનાત્મક રીતે રમે છે. જો કે આઈપીએલ 2022માં તે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં કેપ્ટનશિપની મોટી ભૂમિકા રહી છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) એ પણ આ વાતની પુષ્ટિ કરી છે.
IPL 2022 માં પોતાની ટીમનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહેલા હાર્દિક પંડ્યાએ પોતાના વર્તનમાં ઘણો બદલાવ દર્શાવ્યો છે અને તે પોતાની લાગણીઓને કાબૂમાં રાખી રહ્યો છે. મોહમ્મદ શમી આ વિશે કહે છે કે કેપ્ટનશિપે હાર્દિકને ધૈર્યવાન બનાવ્યો છે, જે ટીમની સફળતાનું મુખ્ય કારણ પણ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, શમીએ કહ્યું, “કેપ્ટન બન્યા બાદ તે ખૂબ જ ધીરજવાન બની ગયો છે, તેની પ્રતિક્રિયા પહેલા જેવી આક્રમક નથી. મેં તેને સલાહ આપી છે કે તે મેદાન પર તેની લાગણીઓને કાબૂમાં રાખે કારણ કે આખી દુનિયા આ ક્રિકેટને જુએ છે.”
શમીએ કબૂલ્યું છે કે હાર્દિકે તેના વર્તન અને માનસિકતામાં ફેરફાર કર્યો છે અને ટીમને એક રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય પેસરે કહ્યું, “એક કેપ્ટન તરીકે સમજદાર બનવું, પરિસ્થિતિઓને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેણે આ ભૂમિકા સારી રીતે નિભાવી છે… તેણે ટીમને એકજૂથ રાખી છે. મેં એક ખેલાડીની સરખામણીમાં કેપ્ટન તરીકે તેનામાં ઘણા ફેરફારો જોયા છે.”
શમી તેની કારકિર્દીમાં ઘણા દિગ્ગજ કેપ્ટનના નેતૃત્વમાં રમ્યો છે અને આવી સ્થિતિમાં તેનું માનવું છે કે હાર્દિકની વિચારસરણીને સમજવી બહુ મુશ્કેલ નથી. તેણે કહ્યું, “દરેક કેપ્ટનનો સ્વભાવ અલગ હોય છે. માહી (ધોની) ભાઈ શાંત હતો, વિરાટ આક્રમક હતો, રોહિત મેચની સ્થિતિ અનુસાર આગળ વધે છે, તેથી હાર્દિકની માનસિકતાને સમજવી એ રોકેટ સાયન્સ નથી.”
મોહમ્મદ શમી પોતે આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે અને હાર્દિકની શાંત સુકાનીની તેના પ્રદર્શન પર પણ અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 16 વિકેટ ઝડપી છે અને તે ગુજરાતનો સૌથી સફળ બોલર છે.
Published On - 9:08 am, Sat, 14 May 22