હાલમાં જો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી સફળ ભારતીય બોલરની શોધ કરવામાં આવે તો જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)નું નામ સૌથી પહેલા આવશે. બુમરાહ હાલમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય બોલર છે. જેની ટેસ્ટમાં 21.7ની બોલિંગ એવરેજ સાથે 123 વિકેટ, વનડેમાં 25.4ની બોલિંગ એવરેજથી 113 વિકેટ અને T20માં 19.9ની બોલિંગ એવરેજથી 67 વિકેટ છે. ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપ હેઠળ ડેબ્યુ કરનાર જસપ્રીત બુમરાહે કોહલીની કેપ્ટનશીપ હેઠળ પોતાની સફળતાનો ધ્વજ ગાળ્યો હતો. વિદેશમાં કોહલી (Virat Kohli) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતમાં બુમરાહની બોલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. પરંતુ શું તમે જાણો છો કે કોહલીએ જ્યારે બુમરાહનું નામ પહેલીવાર સાંભળ્યું ત્યારે તેણે શું પ્રતિક્રિયા આપી હતી?
ભારતના પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન પાર્થિવ પટેલે (Parthiv Patel) એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું કે જ્યારે બુમરાહ વિશે પહેલીવાર કહ્યું ત્યારે વિરાટ કોહલીની પ્રથમ પ્રતિક્રિયા શું હતું. પાર્થિવે કહ્યું ‘વર્ષ 2014માં જ્યારે હું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં હતો, ત્યારે મેં વિરાટ કોહલીને કહ્યું હતું કે જસપ્રીત બુમરાહ નામનો બોલર છે, તેને જુઓ. ત્યારે કોહલીએ જવાબ આપ્યો, ‘છોડ ના યાર.. આ બુમરાહ વમરાહ શું કરશે.’
પાર્થિવ પટેલ એક સમયે ગુજરાતની રણજી ટીમમાં જસપ્રીત બુમરાહનો કેપ્ટન હતો. તેણે શરૂઆતથી જ આ બોલરનો સંઘર્ષ જોયો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે જસપ્રીત બુમરાહે શરૂઆતના વર્ષોમાં સંઘર્ષ કર્યો અને પછી તે અનોખો બોલર બન્યો.
પાર્થિવ પટેલે વધુમાં કહ્યું, ‘જસપ્રીત બુમરાહને વર્ષ 2013માં પહેલીવાર ગુજરાતની રણજી ટીમમાં સ્થાન મળ્યું હતું. શરૂઆતના 2-3 વર્ષ તેના માટે કંઈ ખાસ ન હતા. 2015માં એવી ચર્ચા થઈ હતી કે તેને સીઝનની વચ્ચે જ ઘરે મોકલી દેવો જોઈએ. પરંતુ ધીમે ધીમે તે ઘણો સુધરી ગયો. તમને જણાવી દઇએ કે આઈપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સે તેને સારો સાથ આપ્યો હતો. જસપ્રીત બુમરાહનો સંઘર્ષ અને તેને મળેલા સમર્થનથી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર આવ્યું છે. જસપ્રીત બુમરાહ છેલ્લા 10 વર્ષથી મુંબઈ ટીમ સાથે જોડાયેલો છે.
આ પણ વાંચો : IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયો મોઈન અલી, સાથી ખેલાડીઓ સાથે કઇક આવા અંદાજમાં સ્વાગત કર્યું