વરસાદના વિઘ્ન વચ્ચે ભારતીય ટીમ નો ન્યુઝીલેન્ડ પ્રવાસ સમાપ્ત થયો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલા ટી20 અને બાદમાં વન ડે શ્રેણી રમાઈ હતી. જોકે આ બંને શ્રેણીમાં ભારતીય ક્રિકેટના સ્ટાર અને અનુભવી ખેલાડીઓની ખોટ સાલી હતી. એટલે કે નિયમીત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ ગેરહાજરી હતા. ભારતે વન ડે શ્રેણીને ગુમાવતા જ હવે ટીમ ઈન્ડિયા પર સવાલો ઉઠવા લાગ્યા છે. તો વળી વિકેટકીપર ઋષભ પંતને વારંવાર મોકા મળવાને લઈ સવાલો થઈ રહ્યા છે. કારણ કે તે પ્રદર્શનમાં પણ ખરો ઉતર્યો નહોતો. દરમિયાન સંજૂ સેમસનને માત્ર એક જ મોકો મળ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી20 વિશ્વકપ બાદ આરામ આપવામાં આવ્યો હતો. આમ મોટાભાગના અનુભવી ખેલાડીઓ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે પહોંચ્યા નહોતા. આવી સ્થિતીમાં સ્વાભાવિક અન્ય ખેલાડીઓને તક મળવાની સંભાવનાઓ વધારે હોય પરંતુ આ વખતે પણ એક ખેલાડીની સાથે ફરી વાર અન્યાય થયો હોય એવી સ્થિતી સર્જાઈ હતી. આ ખેલાડી સંજૂ સેમસન છે. તેને સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં પણ મોકો મળવાની સંભાવનાઓ વચ્ચે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શક્યુ નહોતુ.
વન ડે શ્રેણી દરમિયાન ઋષભ પંતને પૂરી તક અપાવી હતી, જોકે સંજૂ સેમસનને માત્ર એક જ તક મળી હતી. તેને પ્રથમ વન ડેમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. તેને ટી20 શ્રેણીથી અળગો રખાયો હતો અને વન ડેમાં સ્થાન મળતા તેણે 36 રન નોંધાવ્યા હતા. તેના બાદ તેણે બેન્ચ પર બેસી રહેવુ પડ્યુ હતુ. સેમસનને અંતિમ વન ડેમાં પણ આશા હતી અને એ પણ ઠગારી નિવડી હતી. તેને અંતિમ મેચથી પણ દૂર રાખવામાં આવ્યો હતો. જોકે પંતને એક બાદ એક મોકા મળતા રહ્યા હતા અને તેણે પુરા પ્રવાસ દરમિયાન માત્ર 42 રન નિકાળ્યા હતા.
પરંતુ જ્યારે પ્રવાસમાં ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવનને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે પંતને મેચ વિનર ખેલાડી ગણાવ્યો હતો. ગબ્બરે કહ્યુ હતુ કે, “એકંદરે તમારે મોટું ચિત્ર જોવું પડશે, તે મેચ-વિનર છે અને તમારે તેનું સમર્થન કરવું જોઈએ. તમે વિશ્લેષણ કરો છો અને તમારા નિર્ણયો તેના પર આધારિત છે.”
ધવને એ પણ કહ્યુ કે, સેમસનને જ્યારે પણ મોકો મળે છે, તેણે સાબિત કર્યુ છે. જોકે ક્યારેક ક્યારેક અન્ય ખેલાડીઓનુ સારુ પ્રદર્શન રાહ વધારે જોવડાવે છે. શિખર ધવને કહ્યું, ચોક્કસપણે, સંજુ સેમસનને જે પણ તક મળી છે, તે ખરેખર સારું કરી રહ્યો છે. પરંતુ કેટલીકવાર તમારે તમારી તકની રાહ જોવી પડે છે કારણ કે અન્ય ખેલાડીએ સારું પ્રદર્શન કર્યું છે અને અમે જાણીએ છીએ કે તે (પંત) તેની કુશળતાના આધારે મેચ વિનર છે. તેથી જ્યારે તે સારું ન કરી રહ્યો હોય તો તમારે તેને સપોર્ટ કરવાની જરૂર છે.
Published On - 7:56 pm, Wed, 30 November 22