ભારતીય ટીમે બાંગ્લાદેશને તેના જ ઘરમાં ક્લીન સ્વીપ કરી દીધુ છે. ટીમ ઈન્ડિયા એ 2-0 થી શ્રેણી જીતી લીધી છે. આ સાથે જ ભારતીય ટીમને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાનો માર્ગ વધારે સરળ થયો છે. ભારતીય ટીમ આ માટેના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જેને જાળવી રાખવા માટે ટીમ ઈન્ડિયાએ ઢાકા ટેસ્ટ જીતવી જરુરી હતી. આ જીતના હિરો રવિચંદ્રન અશ્વિન હતા. જોકે જીત બાદ ટેસ્ટનુ સુકાન સંભાળતા કેએલ રાહુલે મેચ બાદ જયદેવ અને સૌરભનો ઉત્સાહ વધારી દીધો હતો.
જયદેવ ઉનડકટને બાંગ્લાદેશ પ્રવાસમાં મોહમ્મદ શમીના સ્થાને મોકો મળ્યો હતો. તે 12 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં રમતો જોવા મળ્યો હતો. જ્યારે સૌરભને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો નથી. જોકે તેને ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સ્થાને ભારતીય સ્ક્વોડમાં સમાવવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાની જીત દિલની ધડકનોની વધઘટ વચ્ચે થઈ હતી. એક સમયે ભારતીય ટીમ પર હાર તોળાઈ રહી હતી, એવા સમયે રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે જીત અપાવતી ઈનીંગ રમી હતી. આમ રોમાંચક મેચમાં જીતને લઈ ભારતીય ખેલાડીઓમાં ખુશીઓનો જુસ્સો પણ બમણો જોવા મળતો હતો એ સ્વાભાવિક હતો.
મેચ બાદ ટીમ ઈન્ડિયા જબરદસ્ત ખુશીઓ મનાવી રહ્યુ હતુ. ટ્રોફી પણ હાથમાં ઉપાડવાની પળ આવી ગઈ હતી. એ સમયે પણ ખેલાડીઓનો રોમાંચ અદ્ભૂત હતો. આ બધા વચ્ચે જ્યારે ટ્રોફી કેપ્ટનના હાથમાં મળી તો સુકાની કેએલ રાહુલે તેને ઉપાડીને તે સીધો જ ટીમના ખેલાડીઓ વચ્ચે પહોંચ્યો હતો. જ્યાં તેણે સૌરભ કુમારને પહેલા ટ્રોફી હાથમાં આપી. જયદેવ ઉનડકટને પણ હાથમાં ટ્રોફી ઉપાડવા આપતા જ આ બંને ખેલાડીઓના ચહેરા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
મહેન્દ્રસિંહ ધોની જ્યારે પણ ટ્રોફી હાથમાં ઉપાડવાની પળ આવે એટલે તે ટ્રોફીને જરુર યુવા ખેલાડીને આપતો હતો. ધોની આમ કરીને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતો હતો. ધોની હારના સમયે આગળ આવતો હતો અને જ્યારે પણ ટીમ સફળતા હાંસલ કરે એટલે યુવા ખેલાડીઓને ખુશીઓની પળને ઉજવવા માટે આગળ કરતો. આ પરંપરા તેણે પોતાની નિવૃત્તી સુધી જાળવી રાખી હતી. તેના સુકાની પદના કાર્યકાળમાં ટ્રોફીને હાથમાં ઉઠાવી જશ્ન મનાવતા યુવા ખેલાડીઓ જોવા મળતા હતા. દરમિયાન કેએલ રાહુલે પણ ઢાકામાં યુવા ખેલાડી અને જયદેવ કે જેને લાંબા સમય બાદ ટેસ્ટ રમવાનો મોકો મળ્યો તેને આગળ કર્યા હતા અને ટ્રોફી હાથમાં ઉપાડવા માટે આપી હતી.
Published On - 6:33 pm, Sun, 25 December 22