IND vs BAN: અય્યરથી લગાવી હતી આશા, રાહુલે કહ્યુ-ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રુમાં સર્જાયો હતો તણાવ
ભારતીય ટીમ એક સમયે મુશ્કેલ સ્થિતીમાં પહોંચી ગઈ હતી, પરંતુ અશ્વિન અને શ્રેયસ અય્યરની રમતે હારના માર્ગેથી ટીમને જીત તરફ લઈ આવી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચની ચોથા દિવસની સવાર શનિવારે ત્રીજા દિવસની રમતની ચિંતા સાથે જ શરુ થઈ હતી. આ ચિંતા ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે હતી. કારણ કે ભારતીય ટીમે ત્રીજા દિવસની રમતના અંતે 45 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી હતી. રવિવારની રમત શરુ શતા જ વધુ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અશ્વિન અને અય્યરની રમતથી એક એક રન ઉમેરાતો હતો અને ચાહકોની ધડકનો પણ એટલી જ વધી ગઈ હતી. બંનેની રમત પર આશાઓ હતી અને વારંવાર આઉટની અપિલની ચિચિયારીઓ ધડકન વધારતી હતી. આ માહોલ વચ્ચે ડ્રેસિંગ રુમમા શુ ચાલી રહ્યુ હતુ એ પણ કેપ્ટન કેએલ રાહુલે બતાવ્યુ હતુ.
ભારતીય ટીમના ડ્રેસિંગ રુમમાં સ્વાભાવિક જ તણાવ સર્જાયેલો હતો. 3 વિકેટ જ હાથ પર રહી હતી અને અડધાથી વધુનુ ટાર્ગેટ બાકી હતી. ભારતીય ટીમની સ્થિતી મુશ્કેલ થઈ ચુકી હતી. ત્રણ ઈનીંગની રમતમાં ભારતનો હાથ ઉપર રહ્યા બાદ ચોથી ઈનીંગમાં હારનો ખતરો તોળાઈ ગયો હતો. હવે આ વાતનો ખુલાસો પણ કેપ્ટને મેચ બાદ કર્યો છે.
અય્યર લાંબા સમયથી સતત સારુ કરી રહ્યો છે-રાહુલ
પ્રથમ ઈનીગના અંતે ભારતને 87 રનની સરસાઈ મળી હતી. ભારતીય ટીમને 145 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો. જોકે ભારતીય ટીમને આ સરળ લક્ષ્યને પાર પાડવુ કપરુ થઈ પડ્યુ હતુ. વિરાટ કોહલી, શુભમન ગિલ, સુકાની કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંત ડબલ ડિજીટના આંકડામાં પણ રન નોંધાવી શક્યા નહોતા. 74 રનના સ્કોર પર જ ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી.
સુકાની રાહુલે કહ્યુ હતુ કે, “સ્વાભાવિક રીતે જ્યારે કોઈ વ્યક્તિ સતત સારું કરે છે ત્યારે તે એક સારી બાબત છે. અય્યર લાંબા સમયથી ટીમ ઈન્ડિયા માટે આ કામ કરી રહ્યો છે. તે ઘણા સમયથી તકની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે તેને તક મળી ત્યારે તેણે તેને ઝડપી લીધી. તે ટીમ માટે સારું કામ કરી રહ્યો છે. તે જે રીતે રમી રહ્યો હતો તે શાનદાર હતો. તેણે વસ્તુઓ ખૂબ જ સરળ બનાવી”.
રાહુલે બતાવ્યો કેવો હતો ડ્રેસિંગ રુમમાં માહોલ
તેણે માહોલને લઈ કહ્યું, “ડ્રેસિંગ રૂમમાં થોડુક પેનિક હતુ. પરંતુ એવું લાગતું નહોતું કે જ્યારે અમે અય્યરની બેટિંગ જોઈ રહ્યા હતા ત્યારે અમને એવું લાગ્યું ન હતું કે પેનિક છે. અય્યર અને અશ્વિને સારી ભાગીદારી કરી હતી”.