બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ની શરુઆતની બંને ટેસ્ટ મેચમાં ભારતે જબરદસ્ત જીત મેળવી હતી. નાગપુર અને દિલ્લીમાં ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવ્યાની ચર્ચા ચારેતરફ વાહવાહી સાથે થઈ રહી હતી. પરંતુ ઈંદોરમાં પહોંચતા જ ભારતીય ટીમના ખેલાડીઓ હવે સવાલોના નિશાન પર આવી ગયા છે. દિગ્ગજો ભૂલો શોધી શોધીને સવાલો કરી રહ્યા છે. ભારતીય ટીમ ટેસ્ટ સિરીઝમાં હવે 2-1ની સ્થિતી પર પહોંચ્યુ છે. હવે અમદાવાદ ટેસ્ટ સિરીઝમાં જીત માટે બચાવવી રાખવી જરુરી છે. આ સ્થિતીમાં હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચે પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આડે હાથ લેવામાં કોઈ કસર બાકી રાખી નથી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કરનાર ભારતીય ટીમના બેટરો બંને દાવમાં ફ્લોપ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતની કંગાળ શરુઆતનો ફાયદો ઉઠાવ્યો હતો અને સ્પિનરોને મદદ કરી રહેલી પિચ પર જીત મેળવી હતી. ભારતનો પ્રથમ દાવ માત્ર 109 રનમાં જ સમેટાઈ ગયો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવના અંતે 88 રનની લીડ મેળવી હતી.
પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતીય ટીમના વધુ પડતા આત્મવિશ્વાસને લઈ આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉની બંને ટેસ્ટમાં ઝડપથી વિજય મેળવતા ભારતી ટીમ વધુ પડતા આત્મવિશ્વાસમાં હતી. ત્રીજી ટેસ્ટમાં કંગાળ પ્રદર્શન રજૂ કર્યુ અને જેને લઈ શાસ્ત્રીએ ટીમની ઝાટકણી કરી હતી. શાસ્ત્રીએ પ્રસારણ કર્તા સાથેની વાતચિતમાં બતાવ્યુ કે, “જુઓ થોડી આત્મસંતુષ્ટતા અને થોડો વધુ પડતો આત્મવિશ્વાસ શું કરી શકે છે, તેમાં તમે વસ્તુઓને હળવાશથી લેવાનું શરૂ કરો છો, તમે સાવચેત નથી અને આ મેચ તમને નીચે લાવશે”.
શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે આ (હાર) આ બધી બાબતોનું મિશ્રણ હતું. જ્યારે તમે પ્રથમ દાવ પર નજર નાખો છો, ત્યારે તેણે રમેલા કેટલાક શોટ્સ જુઓ, આ પરિસ્થિતિઓમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરવાની તેની આતુરતા. આનું મૂલ્યાંકન કરવા માટે, એક અથવા બે પગલું પાછળ જાઓ અને જુઓ”.
ઓસ્ટ્રેલિયા પણ હવે ભારતીય બેટરોની નિષ્ફળતાઓ પર સવાલો કરવા લાગ્યુ છે. મોકો જોઈ ઓસ્ટ્રેલિયન દિગ્ગજો આમ બોલવા લાગ્યા છે. દરમિયાન પૂર્વ ઓપનર મેથ્યૂ હેડને કહ્યુ હતુ કે, “ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આના જેવી કેટલીક બાબતો થોડી અસ્થિર છે, ખેલાડીઓ તેમની સ્થિતિ બચાવવા માટે રમતા હતા અને તે પ્રસંગો અલગ માનસિકતા બનાવી શકે છે”.
Published On - 10:10 pm, Fri, 3 March 23