એશિયા કપ-2022 માં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) પાસેથી જે પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી હતી તે પ્રકારનું પ્રદર્શન ટીમ બતાવી શકી નથી. રોહિત શર્મા (Rohit Sharma) ની કપ્તાનીમાં રહેલી ટીમ ટાઈટલના પ્રબળ દાવેદાર તરીકે UAE પહોંચી હતી પરંતુ સુપર-4 માંથી જ પરત ફરી હતી. આ હારથી ટીમ મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉભા થયા છે અને આ સવાલોના જવાબ મંગળવારથી ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામે શરૂ થનારી 3 મેચોની ટી20 શ્રેણી માં શોધવા મથશે.
આ શ્રેણી ભારત માટે આગામી મહિને ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ રહેલા ICC T20 વર્લ્ડ કપની તૈયારીઓની ચકાસણી કરવાની સારી તક છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ પહેલા તેના યોગ્ય સંયોજન ખાસ કરીને મિડલ ઓર્ડરને લગતા મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડ કપ પહેલા યોજાનારી છ મેચોમાં કેટલાક ફાસ્ટ બોલરોને આરામ આપવામાં આવ્યો છે, પરંતુ આ સિવાય ભારત તેની મજબૂત ટીમ સાથે મેદાને ઉતરી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા બાદ ભારત ત્રણ મેચ માટે દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. T20 ફોર્મેટમાં લય જાળવવી મહત્વપૂર્ણ હોત, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં ICC ઇવેન્ટ પહેલા તમામ પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરશે. જો કે એશિયા કપમાં ભારતે સારી બેટિંગ કરી હતી, પરંતુ આ દરમિયાન તેણે ઘણા ફેરફારો પણ કર્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતની બોલિંગની નબળાઈઓ પણ સામે આવી હતી, પરંતુ હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની વાપસીએ આક્રમણને મજબૂત બનાવ્યું છે.
રોહિતે સ્પષ્ટ કર્યું કે વર્લ્ડ કપમાં તેની સાથે ફક્ત કેએલ રાહુલ જ ઇનિંગની શરૂઆત કરશે, પરંતુ એવી સંભાવના છે કે વિરાટ કોહલી તેની સાથે ઇનિંગની શરૂઆત કરશે. પોતાની છેલ્લી T20 ઇનિંગ્સમાં સદી ફટકારનાર કોહલીને ઓપનર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. પરંતુ રોહિતે કહ્યું છે કે આવી વસ્તુ માત્ર થોડી જ મેચોમાં જોવા મળશે.
ભારતીય બેટિંગ ક્રમમાં ટોચના ચાર બેટ્સમેન નિશ્ચિત છે પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં ઋષભ પંતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવશે કે દિનેશ કાર્તિકને તે નક્કી કરવામાં આવ્યું નથી. રવીન્દ્ર જાડેજાની ઈજાને કારણે ભારત પંતને ડાબોડી બેટ્સમેન હોવાને લઈ પસંદ કરી શકે છે. ફિનિશરની ભૂમિકા માટે કાર્તિકને સામેલ કરવામાં આવ્યો છે. તેને એશિયા કપમાં માંડ માંડ બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેને આગામી બે અઠવાડિયામાં ક્રિઝ પર થોડો સમય વિતાવવાની તક આપી શકે છે. દીપક હુડ્ડા એશિયા કપમાં સુપર ફોરની તમામ મેચોમાં રમ્યો હતો પરંતુ ટીમમાં તેની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા નથી.
એશિયા કપ દરમિયાન જાડેજાની ઈજાના કારણે ટીમમાં બોલિંગ બેલેન્સ ખોરવાઈ ગયું હતું. ભારતને પાંચ બોલરો સાથે રમવાની ફરજ પડી હતી અને બોલિંગમાં છઠ્ઠો વિકલ્પ નહોતો. જો ભારત હાર્દિક પંડ્યા અને જાડેજાના સ્થાને આવેલા અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં રાખે છે, તો તેની પાસે વધારાનો બોલિંગ વિકલ્પ હશે. બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ અને હાર્દિકના ઝડપી બોલિંગ આક્રમણની સાથે, અક્ષર અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં બે સ્પિનરો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ આ મેચો માટે ટીમ કોમ્બિનેશન તૈયાર કરશે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા ડેવિડ વોર્નર સહિત કેટલાક મહત્વના ખેલાડીઓ વિના ભારત આવ્યું છે. વોર્નરને આરામ આપવામાં આવ્યો છે જ્યારે મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ અને મિશેલ માર્શને ઈજામાંથી બહાર આવવા માટે સમય આપવામાં આવ્યો છે. તમામ ધ્યાન કેપ્ટન એરોન ફિન્ચ પર રહેશે, જેણે પોતાના સતત ખરાબ પ્રદર્શનને કારણે તાજેતરમાં જ વનડેમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તે વર્લ્ડ કપ પહેલા ફોર્મમાં પરત ફરવાનો પ્રયાસ કરશે. સૌની નજર અન્ય ખેલાડી ટિમ ડેવિડ પર પણ રહેશે, જે સિંગાપોર તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમીને ઓસ્ટ્રેલિયા તરફથી પદાર્પણ કરશે.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, દીપક ચહર , જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, એડમ ઝમ્પા
Published On - 10:04 pm, Mon, 19 September 22