જેણે ભારતને વર્લ્ડ કપ અપાવ્યો, તે જ હવે ભારત સામે રચશે ચક્રવ્યૂહ ! જાણો કોણ છે શ્રીલંકાના નવા હેડ કોચ

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને માત્ર પોતાની આંતરિક પડકારોનો જ નહીં પરંતુ મેદાનની બહારની એવી વ્યક્તિનો પણ સામનો કરવો પડશે, જે ભારતીય ક્રિકેટને ખૂબ નજીકથી જાણે છે.

જેણે ભારતને વર્લ્ડ કપ અપાવ્યો, તે જ હવે ભારત સામે રચશે ચક્રવ્યૂહ ! જાણો કોણ છે શ્રીલંકાના નવા હેડ કોચ
IND VS SL
| Updated on: Aug 04, 2026 | 1:58 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. આ પ્રવાસ ભારતીય ટીમ માટે સરળ રહેવાનો નથી. બે ટેસ્ટ મેચોની સિરીઝમાં ટીમ ઈન્ડિયાને ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યાનો સામનો કરવો જ પડશે. પરંતુ એક મોટો પડકાર શ્રીલંકાના નવા હેડ કોચ ગેરી કર્સ્ટન પણ બની શકે છે. ગેરી કર્સ્ટન ભારતીય ક્રિકેટ અને તેની વ્યૂહરચનાને ખૂબ સારી રીતે સમજે છે. કારણ કે તેઓ ત્રણ વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

પિચ ક્યુરેટરના પુત્ર ગેરી કર્સ્ટન બની શકે છે પડકાર

ગેરી કર્સ્ટન આગામી બે વર્ષ માટે શ્રીલંકાના નવા મુખ્ય કોચ બન્યા છે. ગેરી કર્સ્ટનના પિતા નોયલ કર્સ્ટન દક્ષિણ આફ્રિકાના કેપટાઉન સ્થિત ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના પિચ ક્યુરેટર હતા. નોયલ કર્સ્ટન પિચ ક્યુરેટર બનતા પહેલાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પણ રહ્યા ચુક્યા છે. જો કે, નોયલ કર્સ્ટનના પુત્ર ગેરી કર્સ્ટને ક્રિકેટમાં વધુ મોટી ઓળખ બનાવી છે. ગેરી કર્સ્ટન પોતાના સમયના સફળ ઓપનિંગ બેટ્સમેન રહ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ગેરી કર્સ્ટને કોચિંગ ક્ષેત્ર પસંદ કર્યું હતું. ત્યારબાદ તેમનો ટીમ ઈન્ડિયા સાથે સંબંધ જોડાયો હતો.

3 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના કોચ રહ્યા ગેરી કર્સ્ટન

ગેરી કર્સ્ટન વર્ષ 2008થી 2011 દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહી ચુક્યા છે. તેમની કોચિંગ હેઠળ જ ભારતે 2 એપ્રિલ, 2011ના રોજ ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે. ઉપરાંત તેમની આગેવાનીમાં ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર-1 ટીમ પણ બની હતી. ભલે ગેરી કર્સ્ટનને ટીમ ઈન્ડિયાથી અલગ થયા ઘણા વર્ષો વીતી ગયા હોય પરંતુ તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટની શક્તિ, કમજોરી અને વ્યૂહરચનાને સારી રીતે સમજે છે. હવે શ્રીલંકાના હેડ કોચ તરીકે તેઓ શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ સામે અસરકારક યોજના બનાવી શકે છે.

15 ઓગસ્ટથી શરૂ થશે ભારત શ્રીલંકા ટેસ્ટ સિરીઝ

ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ 15 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ બાદ બીજી ટેસ્ટ 23 ઓગસ્ટના દિવસે કોલંબોમાં રમાશે. ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય ટીમ 7 ઓગસ્ટથી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચ પણ રમશે.

આ પણ વાંચો, ગુજરાતી મૂળના 16 વર્ષના નીલ પટેલની ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા સ્ટાર

Follow Us
Loading...
Unable to load recommendations.