કૃણાલ પંડ્યા (Krunal Pandya) કોરોના વાયરસના કારણે, શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) માંથી બહાર થઇ ગયો હતો. પરંતુ તેના સિવાય ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના આઠ ખેલાડીઓ શ્રેણીમાં રમવા માટે લાયક રહ્યા નહોતા. આ આઠ ખેલાડીઓ કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા, જેના કારણે તેમને પણ કોરોના પ્રોટોકોલને કારણે આઇસોલેશનમાં જવું પડ્યું હતું. હવે સવાલ એ થઈ રહ્યો છે કે, આ આઠ લોકો કૃણાલ પંડ્યાના નજીકના સંપર્કમાં કેવી રીતે આવ્યા?
આ આઠ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, હાર્દિક પંડ્યા, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, મનીષ પાંડે, કૃષ્ણપ્પા ગૌતમ અને ઇશાન કિશનનો સમાવેશ થાય છે. હવે આ સવાલના જવાબની વાત બહાર આવી છે. એ વાત સામે આવી છે કે, કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ આવ્યાના એક દિવસ પહેલા જ બધાએ સાથે ખાધું હતું. આ કારણોસર, BCCI ની મેડિકલ ટીમે તેને નજીકના સંપર્ક માન્યો હતો.
મીડિયા રિપોર્ટનુસાર, આઠ ખેલાડીઓ જે પહેલા કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેઓ અંતિમ બંને T20 મેચ રમી શકશે. પરંતુ BCCI ના સચિવ જય શાહે પસંદગી સમિતિ સાથે વાત કર્યા બાદ આ નિર્ણયને બદલી દીધો હતો. એવું માનવામાં આવતું હતું કે, બાકીના ખેલાડીઓની સલામતી સૌથી મહત્વની છે. આ આઠ ખેલાડીઓ 30 જુલાઈ સુધી અલગ રહેશે. આ પછી, તેમના પરીક્ષણ કરવામાં આવશે, અને જો તેઓ તેમાં નેગેટીવ આવશે, તો આઇસોલેશન સમાપ્ત થશે. પરંતુ ત્યાં સુધીમાં ભારતનો શ્રીલંકા પ્રવાસ પૂરો થઈ ગયો હશે.
કૃણાલ પંડ્યા એ 27 જુલાઈ એ બીજી T20 મેચ પહેલા જ ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ જણાઇ આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર ભારતીય ટીમ અને કૃણાલ પંડ્યાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો. જોકે, કૃણાલ સિવાય અન્ય તમામ લોકો નેગેટિવ જણાઇ આવ્યા હતા.
દરમ્યાન, BCCI શ્રીલંકાથી ખેલાડીઓના પરત ફરવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટની વ્યવસ્થા કરી રહ્યું છે. તેના દ્વારા ખેલાડીઓને બેંગ્લોર લાવવામાં આવશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરેલા સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે મોકલવાની દિશામાં કામ કરી રહ્યું છે. તેમને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમમાં જોડાવવાનુ છે. જો કે, ઈંગ્લેન્ડ જતા પહેલા, તેમના ત્રણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવવા જરૂરી છે.
જ્યારે કૃણાલ પંડ્યા કોરોના નેગેટિવ આવે ત્યાં સુધી શ્રીલંકામાં રહેશે. તે અહીં લગભગ 10 દિવસ રોકાશે. BCCI શ્રીલંકા બોર્ડ અને મેડિકલ ટીમ સાથે સંપર્કમાં છે. જેથી તેના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય.