IND vs SL: વિરાટ કોહલીની ખાસ ઉપલબ્ધીએ BCCI દ્વારા ફેન્સને ખુશીના સમાચાર, દર્શકોને પ્રવેશ માટે આપી છૂટ

આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) માત્ર આ ટેસ્ટ માટે જ દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપી ન હતી, ત્યારબાદ બોર્ડના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી હતી.

IND vs SL: વિરાટ કોહલીની ખાસ ઉપલબ્ધીએ BCCI દ્વારા ફેન્સને ખુશીના સમાચાર, દર્શકોને પ્રવેશ માટે આપી છૂટ
Virat Kohli તેની 100 મી ટેસ્ટ મોહાલીના મેદાનમાં રમનાર છે.
| Edited By: | Updated on: Mar 01, 2022 | 8:28 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) અને વિરાટ કોહલી (Virat Kohli) ના ચાહકોના દબાણે આખરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ઝૂકવા મજબૂર કરી દીધું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે મોહાલી (Mohali Test) માં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ માટે 50 ટકા ક્ષમતામાં દર્શકોને મંજૂરી આપી છે, જે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ પણ છે. અગાઉ, બોર્ડે આ ટેસ્ટ મેચ માટે દર્શકોને મંજૂરી આપી ન હતી, જેના માટે કોરોનાનો ચેપ અને પંજાબ ચૂંટણી માટે મતોની ગણતરીને કારણ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ પહેલા, દર્શકોને ધર્મશાળામાં રમાયેલી બંને T20 અને પછી બેંગ્લોરમાં યોજાનારી બીજી ટેસ્ટ માટે આવવાની મંજૂરી આપવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ બોર્ડના સચિવ જય શાહને ટાંકીને કહ્યું કે, આ કિસ્સામાં પંજાબ ક્રિકેટ એસોસિએશન, દર્શકોને પ્રવેશ માટે સંમત થયા છે. શાહે કહ્યું, ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી પ્રથમ ટેસ્ટ બંધ દરવાજા પાછળ નહીં રમાય. રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા દર્શકોને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વર્તમાન સંજોગોમાં ઘણા પાસાઓ પર નિર્ભર છે. મેં PCA અધિકારીઓ સાથે વાત કરી છે અને તેઓએ પુષ્ટિ કરી છે કે પ્રશંસકો તેની 100મી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીની ઐતિહાસિક સિદ્ધિના સાક્ષી બની શકશે.

BCCI ના નિર્ણયને લઈને હોબાળો મચ્યો હતો

અગાઉ રવિવાર 27 ફેબ્રુઆરીએ પંજાબ ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી હતી કે મોહાલી ટેસ્ટ માટે દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યારે પીસીએએ કહ્યું હતું કે, કોરોનાના ખતરાને જોતા ભારતીય બોર્ડની ગાઈડલાઈનનું પાલન કરીને આ ટેસ્ટ મેચ માટે દર્શકોને મંજૂરી નહીં મળે. જો કે, આ સિવાય બેંગલુરુમાં યોજાનારી ડે-નાઈટ ટેસ્ટ માટે 50 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકોએ ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બોર્ડના આ નિર્ણયની ઉગ્ર ટીકા કરી હતી અને બોર્ડને નિર્ણય બદલવાની અપીલ કરી હતી. હવે બોર્ડે પણ દબાણમાં આવીને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

100મી ટેસ્ટ રમનારો વિશ્વનો 71 મો ખેલાડી

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ શુક્રવાર, 4 માર્ચથી મોહાલીમાં રમાશે. આ સાથે વિરાટ કોહલી 100 ટેસ્ટ મેચ રમનાર 12મો ભારતીય ખેલાડી બની જશે. એટલું જ નહીં તે વિશ્વનો 71મો ખેલાડી હશે, જે આ સિદ્ધિ સુધી પહોંચશે. આવી સ્થિતિમાં 100 ટેસ્ટ રમનાર 71મો ખેલાડી બનવાની સાથે કોહલી પોતાની 71મી સદીની રાહ પણ ખતમ કરવા માંગશે અને આ ટેસ્ટને યાદગાર બનાવવા માંગશે.

 

આ પણ વાંચોઃ Gymnast: દીપા કર્માકરને આંતરરાષ્ટ્રીય જિમ્નાસ્ટિક્સ ફેડરેશને સસ્પેન્ડ દર્શાવી, ભારતીય સંઘને જાણકારી નહી!

આ પણ વાંચોઃ Sabarkantha: યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થવા શિવજીની 51 ફુટ પ્રતિમા સમક્ષ સવા મણ રુ ની જ્યોત પ્રગટાવી પ્રાર્થના કરાઇ, ભક્તોએ ઘીની આહુતી આપી

Published On - 8:18 pm, Tue, 1 March 22