
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મંગળવારે પ્રેક્ટિસ કરી હતી. પરંતુ પ્રેક્ટિસ દરમિયાન કંઈક એવું થયું જેણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું. ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર નેટમાં ઈજાગ્રસ્ત થયો હતો.
અય્યરને વિરાટ કોહલીના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. અંગત કારણોસર કોહલીએ પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચમાંથી ખસી ગયો છે. કોહલીની વિદાય બાદ અય્યરને નંબર-4 વિકલ્પ તરીકે ગણવામાં આવી રહ્યો હતો પરંતુ તેની ઈજાએ ચિંતામાં વધારો કર્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અય્યર નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો. તે થ્રોડાઉન લઈ રહ્યો હતો અને આ દરમિયાન એક બોલ તેના જમણા હાથ પર વાગ્યો હતો. અય્યર દર્દથી ચીસ પાડી ઉઠ્યો. તેણે તરત જ બેટ છોડી દીધું હતું. તે નેટ છોડીને ડગઆઉટમાં બેસી ગયો હતો. તેની પાસે સપોર્ટ સ્ટાફ ઊભો હતો. તેણે તેની ઈજા પર બરફ લગાવ્યો.
Shreyas Iyer gets hit on the right forearm during the nets in Hyderabad, walks off after trying to bat on. #INDvsENG pic.twitter.com/LM83qR4283
— Ganesh C (@ganeshcee) January 23, 2024
જો કે થોડો સમય બહાર બેઠા પછી અય્યર નેટ્સ પર પાછો ફર્યો અને બેટિંગ શરૂ કરી. એવું લાગે છે કે અય્યર સુરક્ષિત છે. પરંતુ તે રમવામાં સક્ષમ છે કે નહીં તે આગળ જોવું રહ્યું.
કોહલીનું નામ પાછું ખેંચવાથી ભારતીય ટીમની બેટિંગ પર અસર પડી છે. કોહલી વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેની હાજરી વિરોધી ટીમ પર દબાણ લાવે છે. પરંતુ જો કોહલી પ્રથમ બે ટેસ્ટ મેચમાં હાજર નહીં રહે તો ભારતની બેટિંગ થોડી નબળી પડશે. જો અય્યર ફિટ થશે તો પ્લેઈંગ-11માં તેનો સમાવેશ થશે તે નિશ્ચિત છે. ટીમ ઈન્ડિયા જીત સાથે સિરીઝની શરૂઆત કરીને ઈંગ્લેન્ડ પર દબાણ બનાવવા ઈચ્છશે.