IND vs ENG 1st Test: વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી પર આપ્યો જવાબ, કોહલીએ પ્લેઈંગ 11 પર કહ્યું આમ
ટીમ ઈન્ડીયા (Team India)ના બંને મુખ્ય ઓપનરો ઈજા ગ્રસ્ત થઈ ચુક્યા છે. જેમાં શુભમન ગીલ આખીય શ્રેણી માટે બહાર થઈ ચુક્યો છે. જ્યારે મંયક અગ્રવાલ પ્રથમ ટેસ્ટથી બહાર થયો છે.
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં હવે થોડા કલાકો જ બાકી છે. ઘણા દિવસોની રાહ જોયા બાદ આખરે આ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ બુધવાર 4 ઓગસ્ટથી નોટિંગહામ (Nottingham)ના ટ્રેન્ટ બ્રિજ પર રમાશે. આ સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) પણ શરૂ થશે. પરંતુ આ મહત્વપૂર્ણ શ્રેણીની શરૂઆત પહેલા જ ખેલાડીઓની ઈજાને કારણે ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ભારતીય ટીમ ખાસ કરીને ટીમ ઓપનિંગને લઈને વધારે ચિંતિત છે, કારણ કે શુભમન ગિલ ઈજાને કારણે પહેલા જ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે મયંક અગ્રવાલ (Mayank Agarwal) પણ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે તો બુધવારે નોટિંગહામમાં રોહિત શર્મા (Rohit Sharma) સાથે ઓપનિંગ માટે કોણ બહાર આવશે? હાલમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ આ અંગે પોતાનું કાર્ડ ખોલ્યું નથી.
જૂનમાં ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ હતી. જે માટે ભારતીય ટીમે મેચના એક દિવસ પહેલા તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. પરંતુ આ વખતે ભારતીય ટીમે એવુ કંઈ જ કર્યું નથી. મેચના દિવસે જ પ્લેઈંગ ઈલેવનનો સીધો ખુલાસો કરવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં એ કહેવાનો પણ ઈનકાર કર્યો હતો કે રોહિત શર્મા સાથે કોણ ઓપનીંગ કરશે?
કોહલીએ પ્લેઈંગ ઈલેવન અને ઓપનિંગ પર શું કહ્યું?
જોકે નોટિંગહામ ટેસ્ટમાં ઓપનિંગ માટે વિકલ્પો વધારે નથી. સ્વાભાવિક રીતે કે.એલ.રાહુલ પાસે રમવાની શક્યતા છે. પરંતુ તેમ છતાં ભારતીય ટીમ આ અંગે પોતાની વ્યૂહરચના જાહેર કરીને ઈંગ્લિશ ટીમને ફાયદો કરાવવા માંગતી નથી. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન કોહલીને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું હતું કે અમે ટોસ માટે જતા પહેલા કાલે (પ્લેયીંગ) ઈલેવનની જાહેરાત કરીશું. જેથી તમને પણ ખબર પડે કે રોહિત સાથે કોણ ઓપનિંગ કરી રહ્યું છે. અમે જે સ્થિતિમાં છીએ તે સારી છે અને અમે તેનાથી ખુશ છીએ.
રાહુલ સિવાય આ વિકલ્પો છે
ભારતીય ટીમ પાસે અભિમન્યુ ઈશ્વરન ઉપરાંત કે.એલ. રાહુલ આ સમયે ઈંગ્લેન્ડમાં ઓપનર તરીકે છે. ઈશ્વરનને સ્ટેન્ડબાય તરીકે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો. પરંતુ શુભમન ગિલને થયેલી ઈજાના કારણે તેને મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે બંગાળ રણજી ટીમના ઓપનરની ડેબ્યૂ કરવાની તક ખૂબ ઓછી છે. આ બે સિવાય ચેતેશ્વર પૂજારા અથવા હનુમા વિહારી જેવા મધ્યમ ક્રમના બેટ્સમેનોનો પણ આ ભૂમિકામાં ઉપયોગ કરી શકાય છે. બંને ખેલાડીઓ પહેલા પણ ઓપનિંગ કરી ચૂક્યા છે.