T20 World Cup: ટીમ ઈન્ડિયા પર સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાનો ખતરો, ન્યુઝીલેન્ડની જીત માટે કરશે પ્રાર્થના

મહિલા T20 વર્લ્ડ કપ 2024ની 10મી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. સેમીફાઈનલની રેસને જોતા ટીમ ઈન્ડિયા માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. ન્યુઝીલેન્ડની જીતથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન ઓછું થઈ શકે છે.

T20 World Cup: ટીમ ઈન્ડિયા પર સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાનો ખતરો, ન્યુઝીલેન્ડની જીત માટે કરશે પ્રાર્થના
Indian Women Cricket Team
Image Credit source: PTI
| Updated on: Oct 08, 2024 | 6:46 PM

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ચાહકોને ટીમ ઈન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ આ ટુર્નામેન્ટ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી કંઈ ખાસ રહી નથી. ભારતીય ટીમ પર સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. ટીમ ઈન્ડિયાએ હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે તેની બાકીની મેચો જીતવી પડશે, છતાં ટીમ ઈન્ડિયાનું ભાગ્ય અન્ય ટીમોના હાથમાં છે. T20 વર્લ્ડ કપ 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ 8 ઓક્ટોબરે શારજાહમાં સામસામે ટકરાશે. આ મેચના પરિણામની અસર ભારતીય ટીમ પર પણ પડશે.

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ મેચ પર ભારતની નજર

ભારતને તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં પહોંચવું હોય તો તેને આજે ન્યુઝીલેન્ડને સમર્થન આપવું પડશે. ભારત અત્યારે ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ભારતનો નેટ રન રેટ -1.217 છે. જ્યારે ન્યુઝીલેન્ડ +2.900 નેટ રન રેટ સાથે ટોચ પર છે. આવી સ્થિતિમાં જો ન્યુઝીલેન્ડ આજે ઓસ્ટ્રેલિયાને હરાવશે તો તે ટોપ પર રહેશે. એવામાં જો ટીમ ઈન્ડિયા તેની બાકીની બંને મેચ જીતી લે છે, તો ભારત સેમીફાઈનલમાં પહોંચી જશે.

ટીમ ઈન્ડિયા પાસે ટોપ-2માં સ્થાન મેળવવાની તક

વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ તેની બાકીની મેચો શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જો ટીમ ઈન્ડિયા બંને મેચ જીતે છે તો તેના 6 પોઈન્ટ થઈ જશે. આ સિવાય જો ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનને હરાવશે તો પણ તેને ફક્ત 4 પોઈન્ટ જ મળશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પાસે ટોપ-2માં સ્થાન મેળવવાની તક રહેશે. પરંતુ જો આજે ઓસ્ટ્રેલિયાની ટીમ ન્યુઝીલેન્ડને હરાવશે તો ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી જશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ જીતશે તો તે ટેબલમાં ટોપ પર પહોંચી જશે. આ પછી, ઓસ્ટ્રેલિયાને સેમીફાઈનલમાં પહોંચવા માટે માત્ર 1 મેચ જીતવી પડશે. આવી સ્થિતિમાં શ્રીલંકા અથવા પાકિસ્તાને ન્યુઝીલેન્ડ સામે જીત નોંધાવવી પડશે. પરંતુ તેમ છતાં નેટ રન રેટ ભારત માટે જોખમી સાબિત થઈ શકે છે.

શ્રીલંકા સામે મોટી જીત નોંધાવવી પડશે

ભારતીય ટીમ તેની ત્રીજી મેચ શ્રીલંકા સામે રમશે. જેમાં તે મોટી જીત નોંધાવીને પોતાનો નેટ રન રેટ સુધારવાનો પ્રયાસ કરશે. જો કે ભારતીય ટીમે તેની બીજી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પરંતુ પાકિસ્તાન સામે 106 રનના ટાર્ગેટ સુધી પહોંચવા માટે 18.5 ઓવર રમી હતી. આવી સ્થિતિમાં તેની નેટ રન રેટમાં વધુ સુધારો થઈ શક્યો નથી. જેથી હવે ભારતીય ટીમે શ્રીલંકા સામે કોઈપણ ભોગે મોટી જીત નોંધાવવી પડશે.

આ પણ વાંચો: IND vs BAN : T20 સિરીઝ વચ્ચે આ ખેલાડી કરશે સંન્યાસની જાહેરાત, 14 વર્ષથી છે ટીમનો ભાગ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો