પોતાની કપ્તાની હેઠળ પ્રથમ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ને IPL ટાઇટલ અપાવનાર સુકાની હાર્દિક પંડ્યા (Hardik Pandya) નું કહેવું છે કે જો તક આપવામાં આવે તો તે ભવિષ્યમાં ટીમ ઇન્ડિયા (Team India) નો ફુલ ટાઇમ સુકાની બનવાની જવાબદારી નિભાવવા તૈયાર છે. હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી ત્રણ T20 મેચમાં ભારતીય ટીમની અસ્થાયી રૂપે કેપ્ટનશિપ કરી છે. તેણે ત્રણેય મેચ જીતી છે. તેણે આયર્લેન્ડ સામેની બે T20 મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. ત્યાર બાદ તે વિન્ડીઝ સામેની છેલ્લી T20 મેચમાં પણ કેપ્ટન હતો.
વિન્ડીઝ સામે રમાયેલી પાંચમી મેચમાં નિયમિત સુકાની રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને પંડ્યાને સુકાની પદ સોંપવામાં આવ્યું હતું. મેચ બાદ પંડ્યાએ કેપ્ટનશીપના સવાલ પર કહ્યું કે, “હા, કેમ નહીં! જો મને ભવિષ્યમાં તક મળશે તો હું આ કરવા માટે ખૂબ જ ખુશ થઈશ. પરંતુ અત્યારે આપણી પાસે વર્લ્ડ કપ, એશિયા કપ છે. અમે હાલ આ ટુર્નામેન્ટ પર વધુ ધ્યાન આપવા માંગીશું.”
ભારતે ટી-20માં સતત સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના પ્રદર્શન અંગે હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મને લાગે છે કે તમામ ખેલાડીઓમાં એક પ્રકારની પ્રતિભા છે અને જે પ્રકારની સ્વતંત્રતા અમને મળી રહી છે, જે રીતે આપણે રમી રહ્યા છીએ, આ નવું ભારત છે. હું જોઈ શકું છું કે ઘણા ખેલાડીઓ મુક્તપણે રમી રહ્યા છે. હું ઘણા ખેલાડીઓને પોતાની જાતને વ્યક્ત કરતા જોવ છું અને પરિણામો વિશે વિચારતો નથી. આનાથી અમને એક ટીમ તરીકે વધુ ખતરનાક બન્યા છે. જ્યારે તમારી પાસે ગુમાવવા માટે કંઈ નથી ત્યારે તમે મેદાન પર જાઓ અને કંઈક અલગ કરો.”
હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટીમ મેનેજમેન્ટને શ્રેય આપતા કહ્યું કે, “તે ટીમ મેનેજમેન્ટને કારણે છે, જે લોકોએ એવું વાતાવરણ બનાવ્યું છે જ્યાં ખેલાડીઓ જઈને આનંદ માણી શકે અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપી શકે. તે વિચાર્યા વિના કે તેને પસંદ કરવામાં આવશે કે બહાર ફેંકવામાં આવશે. તેનાથી ટીમ ખૂબ જ ખતરનાક બને છે.”
હાર્દિક પંડ્યાએ તેમની કપ્તાનીમાં ગુજરાતને IPL 2022નું ટાઇટલ અપાવ્યું હતું. આ ટીમ પ્રથમ વખત IPL રમી રહી હતી અને હાર્દિક પંડ્યા પણ પ્રથમ વખત કોઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. આ ટાઈટલ જીત બાદ પંડ્યાનું નામ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપના દાવેદારોમાં ગણવામાં આવે છે.