બર્મિંગહામ સામે ટીમ ઈન્ડિયા (Team India) નો મોટો પડકાર છે. ટેસ્ટ મેચનો છેલ્લો દિવસ ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો છે. ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) એ તેના બેટ્સમેનોના કારણે ધમાકેદાર વાપસી કરી છે. ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) નું માનવું છે કે 5મી ટેસ્ટના ચોથા દિવસે બીજા ઇનિંગની બેટિંગમાં ભારતના ‘ડર’ અને ‘રક્ષણાત્મક’ અભિગમને કારણે ઈંગ્લેન્ડને પુનરાગમન કરવાની તક મળી.
પ્રથમ ઇનિંગમાં 132 રનની લીડ લેનાર ભારત બીજા દાવમાં માત્ર 245 રનમાં સમેટાઈ ગયું હતું. ઈંગ્લેન્ડની ટીમ હવે લક્ષ્યથી માત્ર 119 રન દૂર છે. જ્યારે તેની 7 વિકેટ બાકી છે. “મને લાગે છે કે તે નિરાશાજનક હતું… કારણ કે તેઓ તેમની બેટિંગથી ઈંગ્લેન્ડને મેચમાંથી બહાર કરી શક્યા હોત,” એજબેસ્ટનમાં સ્કાય સ્પોર્ટ્સ કોમેન્ટ્રી ટીમના સભ્ય રહેલ રવિ શાસ્ત્રીએ કહ્યું.
રવી શાસ્ત્રીએ કહ્યું, “તેમને બે સત્રો સુધી બેટિંગ કરવાની જરૂર હતી અને મને લાગે છે કે તેઓ રક્ષણાત્મક હતા. તેઓ ચોથા દિવસે ખાસ કરીને લંચ પછી ડરી ગયા હતા.” તે સમયે રમતમાં રન ખૂબ જ મહત્વપૂર્ણ હતા અને મને લાગે છે કે તે ખૂબ જ ડિફેન્સિવ બની ગયા હતા. તેણે ખૂબ જ વહેલી વિકેટ ગુમાવી દીધી હતી અને ઈંગ્લેન્ડને બેટિંગ માટે પૂરતો સમય આપ્યો હતો.’
રવી શાસ્ત્રી 2021માં ભારતીય ટીમના મુખ્ય કોચ હતા. જ્યારે ટીમે શ્રેણીમાં 2-1 થી સરસાઈ મેળવી હતી. પરંતુ ત્યાર બાદ ભારતીય ટીમમાં કોવિડ-19ના ઘણા કેસ સામે આવ્યા બાદ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની કેવિન પીટરસને ભારતના સ્ટેન્ડ-ઇન કેપ્ટન જસપ્રિત બુમરાહની વ્યૂહરચના પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેણે બેટ્સમેનોને રક્ષણાત્મક રીતે ફિલ્ડરોને સજાવીને સ્ટ્રાઇક ફેરવવાનું સરળ બનાવ્યું.
કેવીન પીટરસને કહ્યું, ‘મને નથી લાગતું કે ચોથા દિવસે બુમરાહની રણનીતિ યોગ્ય હતી. બોલના રિવર્સ સ્વિંગ હોવા છતાં તેનાથી બેટ્સમેનોનું કામ સરળ થઈ ગયું. કારણ કે બેટ્સમેનોને એ સમજવું મુશ્કેલ થઈ રહ્યું હતું કે બોલ કઈ દિશામાં સ્વિંગ કરશે.’
તેણે કહ્યું, “જ્યારે બોલ 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે રિવર્સ સ્વિંગ થાય છે ત્યારે બેટિંગ કરવા માટે શ્રેષ્ઠ સ્થાન એ બોલિંગ એન્ડ છે અને તે બોલિંગ એન્ડ સુધી ખૂબ જ સરળતાથી જઈ શક્યો હતો.” પીટરસને આશા વ્યક્ત કરી હતી કે બુમરાહ પાંચમા અને અંતિમ દિવસે અલગ રણનીતિ અપનાવશે.