Cricket: સૂર્યકુમાર યાદવે દર્શાવ્યુ તોફાની સ્વરુપ, 37 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે ફટકાર્યુ બેવડુ શતક, જાણો ક્યાં દર્શાવી આ રમત
ભારતીય બેટ્સમેને મેદાનના દરેક ખૂણામાં રન બનાવ્યા. તેણે તેની મેરેથોન ઇનિંગ્સમાં બોલરોને જોરદાર રીતે પછાડ્યા. સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) આ દરમિયાન 2 ભાગીદારી પણ કરી હતી.
સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) ની પ્રતિભા કોઈનાથી છુપાયેલી નથી. પરંતુ, તેણે ફરી એકવાર તેનું પ્રદર્શન કર્યું છે. આ વખતે કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી કે ટુર્નામેન્ટમાં નહીં પરંતુ મુંબઈમાં રમાયેલી 74મી પોલીસ શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ (Police Shield Cricket Tournament) માં. 30 વર્ષીય ભારતીય બેટ્સમેને આ ટૂર્નામેન્ટમાં પારસી જીમખાના (Parsi Gymkhana) તરફથી રમતી વખતે તોફાની બેવડી સદી ફટકારી હતી. તેણે પેઈડ સ્પોર્ટ્સ ક્લબ સામે તેની બેવડી સદીની સ્ક્રિપ્ટ લખી.
દિવસભર ચાલેલી આ મેચના પહેલા જ દિવસે જમણા હાથના ભારતીય બેટ્સમેને આ કમાલ કરી બતાવ્યો હતો. પરિણામ એ આવ્યું કે ટીમે પ્રથમ દિવસની રમતના અંતે પ્રથમ દાવમાં 9 વિકેટે 524 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવ પ્રથમ દાવમાં 249 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 152 બોલનો સામનો કરીને આ રન બનાવ્યા હતા. સૂર્યકુમારની ધમાકેદાર ઇનિંગ્સમાં 37 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. એટલે કે, તેણે તેની ઇનિંગ્સમાં 42 બોલમાં બાઉન્ડ્રીથી 178 રન બનાવ્યા, જેમાં 148 રન 37 ચોગ્ગા અને 30 છગ્ગાથી આવ્યા.
બેવડી સદી સાથે 2 મોટી ભાગીદારી
સૂર્યકુમારે મરીન ડ્રાઈવ નજીક પોલીસ જીમખાના ગ્રાઉન્ડમાં પોતાની બેવડી સદીની કહાની લખી હતી. પારસી જીમખાના તરફથી રમતા ભારતીય બેટ્સમેને મેદાનના દરેક ખૂણામાં રન બનાવ્યા હતા. તેની મેરેથોન ઇનિંગમાં તેણે પેઇડના બોલરોને જોરદાર રીતે પછાડ્યા હતા. સૂર્યકુમાર યાદવે આ દરમિયાન 2 ભાગીદારી પણ કરી હતી. તેણે આદિત્ય તારે સાથે ચોથી વિકેટ માટે 124 રન જોડ્યા, જેણે 73 રનની ઇનિંગ રમી. જ્યારે આ પછી 63 રનની ઇનિંગ રમનાર સચિન યાદવ સાથે પાર્ટનરશિપ થઈ હતી. 209 રનની આ ભાગીદારી 5મી વિકેટ માટે હતી.
199 મિનિટ ક્રિઝ પર વિતાવ્યા બાદ આઉટ
સૂર્યકુમાર યાદવે ક્રિઝ પર કુલ 199 મિનિટ સુધી બેટિંગ કરી હતી. આ પછી, તે પેઇડ ક્લબના લેફ્ટ આર્મ બોલર આતિફ અત્તરવાલાના શિકાર બન્યો. અત્તરવાલાએ તેને પ્રદીપ સાહુના હાથે કેચ કરાવ્યો હતો.
ભારતીય ટેસ્ટ ટીમમાં SKY નું ‘ગણિત’
ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું ન હતું. તે હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં હતો. પરંતુ તેને રમવાની તક મળી ન હતી. આ પહેલા સૂર્યકુમાર યાદવને ઈંગ્લેન્ડ પ્રવાસ પર પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને શ્રીલંકાથી સીધો ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ રમવાની તક મળી ન હતી.