બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે વાતચીત બંધ ? પાકિસ્તાનના કોચે જણાવ્યું સત્ય

T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ બે મેચ હાર્યા બાદ હવે પાકિસ્તાન માટે આગામી સુપર-8ના રાઉન્ડમાં જવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયા સામેની હાર બાદ હવે પાકિસ્તાનની ટીમને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. વસીમ અકરમે તો ત્યાં સુધી દાવો કર્યો કે ટીમના બે મોટા ખેલાડીઓ વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ છે, હવે આ સમાચાર પર પાકિસ્તાનના સહાયક કોચ અઝહર મહેમૂદે પ્રતિક્રિયા આપી છે.

બાબર આઝમ અને શાહીન આફ્રિદી વચ્ચે વાતચીત બંધ ? પાકિસ્તાનના કોચે જણાવ્યું સત્ય
| Edited By: | Updated on: Jun 11, 2024 | 6:49 PM

T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડીને હારતા, બાબર એન્ડ કંપની પર ચારે બાજુથી પ્રહારો થઈ રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઝડપી બોલર વસીમ અકરમે તો ત્યાં સુધી કહ્યું કે આ ટીમમાં શાહીન અને બાબર વચ્ચે નજર મેળવવાનો પણ સંબંધ રહ્યો નથી. સિનિયર ખેલાડીઓ વચ્ચે પણ વાતચીત બંધ થઈ ગઈ છે.

જોકે, વસીમ અકરમના આ દાવાને પાકિસ્તાનના સહાયક કોચ અઝહર મહમૂદે નકારી કાઢ્યો છે. અઝહર મહમૂદે કહ્યું કે બાબર અને શાહીન વચ્ચે રોજ વાતચીત થાય છે. અન્ય સિનિયર ખેલાડીઓ પણ એકબીજા સાથે વાત કરે છે.

સહાયક કોચ અઝહર મહેમૂદનો જવાબ

અઝહર મહમૂદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વસીમ અકરમે શાહીન અને બાબર વચ્ચે બોલચાલનો સંબંધ નથી તેમ કહ્યું હશે, પરંતુ મને તેમણે શુ કહ્યું છે તેની ખબર નથી. શાહીન અને બાબર વાતચીત કરી રહ્યા છે. અઝહર મહમૂદે વધુમાં કહ્યું કે, આ ટીમ કોઈ એક ખેલાડીના કારણે નથી હારી, આ માટે સમગ્ર ટીમ મેનેજમેન્ટ જવાબદાર છે.

વસીમ અકરમે કહ્યું- પાકિસ્તાનની નવી ટીમ બનાવો

વસીમ અકરમે, સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે હવે પાકિસ્તાને એક નવી ટીમ બનાવવાની જરૂર છે. આમેય પાકિસ્તાનની વર્તમાન ટીમ હારી તો રહી જ છે. નવી ટીમ હારશે તો શુ ફેર પડશે. પરંતુ એક વર્ષમાં આખી ટીમ ઊભી થઈ જશે અને જીતવાની આદત પડશે. આ ઉપરાંત વસીમ અકરમે પાકિસ્તાની ટીમના ખેલાડીઓ અને તેમના વર્તનની પણ આકરી ટીકા કરી હતી.

વસીમ અકરમે કહ્યું, ‘જો અમારો કોઈ બોલર ડાઈવ કરે છે તો તે આઉટ થઈ જાય છે. તે 20 ઓવરની મેચમાં 4 ઓવર પણ ફેંકવા સક્ષમ નથી. હવે બહુ થયું. આ વીડિયો વાયરલ થતો હોય તો થઈ જાય મને તેનાથી કોઈ ફરક પડતો નથી. કોઈકે તો કંઈક કહેવું પડશે. અમેરિકામાં હાજર રહેલા પાકિસ્તાનીઓ અને પાકિસ્તાનમાં લોકો નિરાશ છે. આજે તેનો મૂડ ઑફ છે, સમગ્ર પાકિસ્તાનની ભાવનાઓને ખતમ કરી દેવામાં આવી છે. કોઈપણ વસ્તુની મર્યાદા હોય છે.