
પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ ચર્ચાનું કારણ તેની બોલિંગ નહી પરંતુ બ્રિટિશ નાગરિકતા છે. રિપોર્ટ મુજબ આમિરને યુનાઈટેડ કિંગડમની નાગરિકતા અને પાસપોર્ટ મળી ગયા છે. ત્યારબાદ તેના આઈપીએલ રમવાની શક્યતાઓ વધુ તેજ બની છે. આમિરની પત્ની નરજિસ ખાન બ્રિટિશ નાગરિક છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આ આધાર પર આમિરે થોડા વર્ષો પહેલા નાગરિકતા માટે આવેદન આપ્યું હતુ. કાનુની પ્રકિયા પૂર્ણ થયા બાદ હવે તેને યુકેનો પાસપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
આ ઘટના બાદ ક્રિકેટ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, શું હવે આમિર આઈપીએલ ઓક્શનમાં ભાગ લેશે. પાકિસ્તાની ખેલાડી 2008ની પહેલી સીઝન બાદ ટૂર્નામેન્ટનો ભાગ બની શક્યો નથી. પાકિસ્તાનમાં જન્મેલા અઝહર મહમુદ એક માત્ર એવો ખેલાડી છે. તેને બ્રિટિશ પાસપોર્ટ મળ્યા બાદ ઈંગ્લેન્ડ ખેલાડી તરીકે 2012 થી 2015 વચ્ચે આઈપીએલમાં 23 મેચ રમી હતી.
હવે આમિરની તુલના અઝહર મહમૂદ સાથે કરવામાં આવી રહી છે. જો આઈપીએલના નિયમો હેઠળ તેને મંજુરી મળે છે. તો તે બ્રિટિશ નાગરિકતાના આધાર પર વિદેશી ખેલાડીની કેટેગરીમાં ઓક્શન માટે રજિસ્ટર્ડ કરી શકે છે.
વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2008 પહેલા શાહિદ અફરીદી,શોએબ અખ્તર,શોએબ મલિક અને સોહેલ તનવીર જેવા પાકિસ્તાની ખેલાડીઓ આ લીગનો ભાગ રહી ચૂક્યા છે. ત્યારબાદ કોઈ પણ પાકિસ્તાની ખેલાડી આ લીગમાં સામેલ થયો નથી.
આ કડક નિયમો વચ્ચે પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહમુદ એક માત્ર એવો ખેલાડી રહ્યો છે. જે બાદમાં આઈપીએલ રમી ચૂક્યો છે. અઝહર મહમુદે બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ વર્ષ 2012 અને 2013માં પંજાબ કિંગ્સ અને 2015માં કોલકતા નાઈટ રાઈડર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાના કારણે તેને પાકિસ્તાની નહી પરંતુ એક ઈંગ્લિશ ક્રિકેટરના રુપે રજિસ્ટર કર્યું હતુ. જેનાથી તેનો રસ્તો ચોખ્ખો થયો હતો, હવે મોહમ્મદ આમિર પણ આ ફોર્મુલા હેઠળ આઈપીએલનો ભાગ બની શકે છે.