
ભારતીય ક્રિકેટ ટીમને નવો ફિલ્ડિંગ કોચ મળવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર અનુભવી કોચ શુભદીપ ઘોષને ભારતીય ટીમના નવા ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે ટી દિલીપનું સ્થાન લેશે, જેનો કાર્યકાળ ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે સમાપ્ત થયો હતો. શુભદીપ ઘોષ ભારતીય ટીમ સાથે શ્રીલંકા પ્રવાસથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે, જ્યાં બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. તે 2027 ODI વર્લ્ડ કપ સુધી આ જવાબદારી સંભાળશે.
શુભદીપ ઘોષ આસામનો રહેવાસી છે. ભલે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે રમ્યો ન હોય, પરંતુ તેને કોચિંગનો ઘણો અનુભવ છે. તેણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ભારતીય અંડર-19 ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે સેવા આપી છે. શુભદીપ આ વર્ષની શરૂઆતમાં ICC અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય મેન્સ અંડર-19 ટીમનો ફિલ્ડિંગ કોચ હતો.
SUBHADEEP GHOSH – NEW FIELDING COACH OF INDIA
– Subhadeep will replace T Dilip in Indian team. [Gaurav Gupta] pic.twitter.com/75ZBA51sdP
— Johns. (@CricCrazyJohns) July 28, 2026
શુભદીપ ઘોષને IPLમાં કોચિંગનો પણ અનુભવ છે. તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ (2018) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (2019) સાથે કામ કર્યું છે. વધુમાં 2020 માં KKR થી અલગ થયા પછી તે BCCI ની નેશનલ ક્રિકેટ એકેડેમી (હવે સેન્ટર ઓફ એક્સેલન્સ) માં જોડાયો હતો. તે 2021 માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ઈન્ડિયા ‘A’ ટીમ સાથે ફિલ્ડિંગ કોચ તરીકે પણ સાથે હતો અને છેલ્લા છ વર્ષથી ભારતીય ક્રિકેટ સેટઅપમાં સક્રિય રીતે સામેલ છે.
શુભદીપ ઘોષનું ડોમેસ્ટિક કરિયર ખાસ પ્રભાવશાળી નહોતું. તેણે આસામ અને રેલ્વે માટે 17 ફર્સ્ટ-ક્લાસ અને 17 લિસ્ટ A મેચ રમી હતી, જેમાં અનુક્રમે 316 અને 307 રન બનાવ્યા હતા. તેણે 2005માં પોતાની છેલ્લી ડોમેસ્ટિક મેચ રમી હતી.
રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટી દિલીપને ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા વર્ષોમાં ભારતીય ટીમના ફિલ્ડિંગના લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ટી દિલીપને દૂર કરવામાં આવ્યો હતો. આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વેના તાજેતરના પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાએ કુલ 21 કેચ છોડ્યા હતા, જેના કારણે BCCI એ ટી દિલીપના બદલે શુભદીપ ઘોષને ટીમમાં સામેલ કર્યો છે.