Breaking News : વિરાટ કોહલી વિરુદ્ધ બેંગલુરુમાં પોલીસ ફરિયાદ દાખલ

4 જૂને બેંગલુરુમાં RCBની જીતની ઉજવણી દરમિયાન, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ચાહકોની ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. પરંતુ હવે એક સ્થાનિક વ્યક્તિએ વિરાટ કોહલી સામે પણ FIR નોંધવાની માંગ કરી ફરિયાદ નોંધાવી છે.

Breaking News : વિરાટ કોહલી વિરુદ્ધ બેંગલુરુમાં પોલીસ ફરિયાદ દાખલ
Virat Kohli
Image Credit source: PTI
| Updated on: Jun 06, 2025 | 9:36 PM

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ હવે એક સ્થાનિક વ્યક્તિએ ટીમ ઈન્ડિયા અને RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વિરુદ્ધ પણ FIR નોંધવાની માંગ કરી છે. આ વ્યક્તિએ બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં આ માંગ સાથે કોહલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

RCBની વિકટ્રી પરેડ

મંગળવાર, 3 જૂનના રોજ, અમદાવાદમાં રમાયેલી IPL 2025ની ફાઈનલમાં RCBએ પંજાબ કિંગ્સને હરાવી પહેલીવાર IPL ટાઈટલ જીત્યું. આ જીત પછી, સમગ્ર બેંગલુરુમાં ઉત્સવનો માહોલ હતો. પછી બીજા દિવસે જ્યારે આખી ટીમ અમદાવાદથી ટ્રોફી લઈને પરત ફરી, ત્યારે બેંગલુરુમાં રસ્તાઓ પર ચાહકોની ભારે ભીડ હતી. આ દરમિયાન, પહેલા કર્ણાટક સરકારે વિધાનસભા નજીક ટીમની જીતની ઉજવણી કરી અને પછી આખી ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગઈ, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો પહેલાથી જ હાજર હતા.

નાસભાગમાં 11 લોકોના મોત, 50 જેટલા ઘાયલ

થોડીવારમાં જ સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ, જેમાં 11 લોકોના મોત થયા, જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા. ત્યારથી સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. કર્ણાટક સરકારે આ માટે RCB મેનેજમેન્ટ, કર્ણાટક ક્રિકેટ એસોસિએશન અને ઈન્ટ મેનેજમેન્ટ કંપની DNAને જવાબદાર ઠેરવી છે, ત્યારબાદ કબ્બન પાર્ક પોલીસે તેમની સામે FIR નોંધી છે અને 4 લોકોની ધરપકડ કરી છે.

કોહલી સામે FIR દાખલ કરવાની માંગ

પરંતુ આ બધા વચ્ચે, એચએમ વેંકટેશ નામના સ્થાનિક વ્યક્તિએ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સામે પણ FIR નોંધવાની માંગ કરી છે. વેંકટેશ નામના એક સ્થાનિક વ્યક્તિએ આ માંગણી સાથે કબ્બન પાર્ક સ્ટેશન પર ફરિયાદ નોંધાવી છે. પોલીસે કહ્યું છે કે તેઓ આ ફરિયાદને પહેલાથી નોંધાયેલ ફરિયાદમાં સામેલ કરીને ધ્યાનમાં લેશે.

4 આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા

બીજી તરફ, શુક્રવારે જ પોલીસે RCBના માર્કેટિંગ અને રેવન્યુ ઓફિસર નિખિલ સોસાલે અને તેના સહયોગી સુમંતની ધરપકડ કરી હતી. તેમના ઉપરાંત, પોલીસે DNA મેનેજમેન્ટ કંપનીના મેનેજર કિરણ અને તેના સહયોગી મેથ્યુની પણ ધરપકડ કરી હતી. આ ચારેયને શુક્રવારે જ બેંગલુરુમાં 41મા ACJM સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ ચારેયને પ્રપન્ના અગ્રહાર જેલમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો: IPLમાંથી 52 કરોડ કમાયા, KKRને ચેમ્પિયન બનાવ્યું, જાણો પિયુષ ચાવલાની કુલ સંપત્તિ કેટલી છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો