IPL ની 19 મી સિઝન પહેલા KKRની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. પહેલા તેમનો મુખ્ય ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઘાયલ થયો, અને હવે એવા અહેવાલ છે કે એક મેચ વિનર બોલરને IPLમાં રમવાની મંજુરી મળી નથી. એવામાં KKRનું બોલિંગ યુનિટ નબળું દેખાઈ રહ્યું છે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાનાને 2026ના T20 વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન તેના ડાબા પગમાં સ્નાયુમાં ખેંચાણ આવ્યું હતું. ફોલો-થ્રુ દરમિયાન તેને દુખાવો થયો અને તે જમીન પર પડી ગયો. આ ઈજાને કારણે તે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો. પથિરાના તેની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હે પણ શ્રીલંકા બોર્ડના ફિટનેસ ટેસ્ટમાં તે નિષ્ફળ ગયો છે, જેના કારણે તેને IPLમાં રમવાની મંજૂરી આપવામાં આવી નથી.
મથિશા પથિરાનાને KKRએ ₹18 કરોડમાં ખરીદ્યો હતો. પથિરાનાને ખરીદવા માટે KKR અને LSG વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો, પરંતુ અંતે KKR એ હરાજી જીતી હતી. જોકે, KKR પથિરાનાને લઈને મૂંઝવણમાં હોય તેવું લાગે છે. પથિરાનાની ઈજા પછી, KKRનું પેસ બોલિંગ યુનિટ નબળું પડેલું દેખાય છે.
રાણા અને પથિરાનાની ઈજાઓ સાથે, KKR પાસે હવે એવા બોલરો છે જેમને T20 ક્રિકેટમાં અનુભવનો અભાવ છે અથવા તેઓએ આ ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ પાસે પહેલાથી જ આકાશ દીપ, કાર્તિક ત્યાગી અને ઉમરાન મલિક જેવા બોલરો છે. ટીમે બ્લેસિંગ મુઝારાબાનીને ટીમમાં સામેલ કર્યો છે, પણ તેને IPLમાં રમવાનો કોઈ અનુભવ નથી.
પથિરાના 2022 થી IPL માં રમી રહ્યો છે અને અત્યાર સુધીમાં 32 મેચ રમી ચૂક્યો છે. તેણે 47 વિકેટ લીધી છે. પથિરાનાનો ઇકોનોમી રેટ 8.6 છે. પથિરાના તેની ડેથ ઓવર બોલિંગ માટે જાણીતો છે, અને તે જોરદાર યોર્કર ફેંકી શકે છે. ચેન્નાઈ માટે ફક્ત ડેથ ઓવરમાં બોલિંગ કરવા છતાં તેનો ઇકોનોમી રેટ સારો છે. આ જ કારણ છે કે KKR એ તેમનામાં રોકાણ કર્યું છે.
Published On - 10:06 pm, Thu, 19 March 26