
ઈન્ડિયા એની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. જ્યાં વનડે ટ્રાય સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યારસુધી કાંઈ ખાસ રહ્યું નથી. 3માંથી 2 મેચ ગુમાવી ચુકી છે. ત્યારે હવેની મેચ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી રહેશે. આ મેચ પહેલા ઈન્ડિયા એના સ્કવોડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત ખેલાડી યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટને પસંદ કર્યો છે. જે ટુંક સમયમાં શ્રીલંકા માટે રવાના થશે.
પોતાની તોફાની સ્પીડથી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવનાર 23 વર્ષના ફાસ્ટ બોલર અશોક શર્માના કરિયરમાં એક નવો અધ્યાય શરુ થશે. ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન છોડી ગુજરાતમાં આવનાર આ યુવા સ્પીડસ્ટારને શ્રીલંકામાં રમાઈ રહેલી સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશોકને આ તક ઈજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટના રુપે મળી છે.
રિપોર્ટ મુજબ અશોક શર્મા આજે સવારે કોલંબો માટે રવાના થયો છે. દાંબુલામાં ઈન્ડિયા એ ટીમ સાથે જોડાશે. તમને જણાવી દઈએ કે, આ સીરિઝમાં ભારત એ સિવાય શ્રીલંકા એ અને અફઘાનિસ્તાન એ ટીમ ભાગ લઈ રહી છે. તિલક વર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને સોમવારના રોજ શ્રીલંકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ 17 જૂનના રોજ અફઘાનિસ્તાન એ વિરુદ્ધ રમાનારી મેચ ભારત માટે કરો યા મરો જેવી બનીને રહેશે. ત્યારે અશોકની સ્પીડ ભારતીય બોલિંગને નવી ધાર આપી શકે છે.
અશોક શર્માએ હાલમાં આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સ દ્વારા રમતા પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા છે. તેમણે ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 6 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે એક બોલ 154.2 કિમી/કલાકની સ્પીડથી ફેક્યો હતો. ગુજરાત ટાઈટન્સે તેમને ઓક્શનમાં 90 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. હવે તેની પાસે ભારતીય જર્સીમાં ધમાલ મચાવવાની તક છે.
Published On - 8:44 am, Tue, 16 June 26