
એશિયા કપ 2025 જીત્યા બાદ, સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતની T20 ટીમ હવે ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચે 29 ઓક્ટોબરથી પાંચ T20 મેચની સિરીઝ શરૂ થવાની છે. કેનબેરામાં પ્રથમ મેચ પહેલા, ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી વર્ષના T20 વર્લ્ડ કપની તૈયારીઓ અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. તેણે કહ્યું કે વર્લ્ડ કપની તૈયારીઓ એશિયા કપથી જ શરૂ થઈ ગઈ હતી.
ભારતનો T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ માને છે કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી આગામી વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રથમ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે કહ્યું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસને અન્ય T20 શ્રેણી તરીકે જ જોઈ રહી છે, એક અલગ વિદેશી પડકાર તરીકે નહીં.
સુર્યાએ કહ્યું, “ટીમ કોમ્બિનેશનમાં બહુ ફેરફાર નથી. ગઈ વખતે જ્યારે અમે દક્ષિણ આફ્રિકા ગયા હતા, ત્યારે અમે એક ફાસ્ટ બોલર, એક ઓલરાઉન્ડર અને ત્રણ સ્પિનરો સાથે રમ્યા હતા. પરિસ્થિતિઓ સમાન છે – ઉછાળવાળી પિચો. આગામી વર્ષના T20 વર્લ્ડ કપ માટે અમારી તૈયારી સ્પષ્ટપણે એશિયા કપથી શરૂ થઈ હતી, કારણ કે તે સમયે અમે T20 રમવાનું શરૂ કર્યું હતું, અને તે ઓસ્ટ્રેલિયા માં પણ ચાલુ જ રહેશે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો હતો.
ભારતની આગામી T20 મેચો મોટા ભાગે એશિયન પરિસ્થિતિઓમાં રમાશે, જેના પર સૂર્યકુમાર યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આનાથી ટીમની માનસિકતા બદલાઈ નથી. એવું લાગતું જ નથી કે અમે વિદેશી ધરતી પર રમી રહ્યા છીએ. તેથી, અમે આ શ્રેણીને અલગ રીતે જોઈશું પણ સમાન દ્રષ્ટિકોણથી. આ સિરીઝ પણ વર્લ્ડ કપની તૈયારીનો ભાગ છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમવા માટે એક સુંદર દેશ છે. તેથી મને ખાતરી છે કે ઓસ્ટ્રેલિયા સામે ટક્કરની મેચ રમાશે.”
આ પણ વાંચો: IND vs AUS : બુમરાહની વાપસી, ગિલના રમવા પર સસ્પેન્સ, આવી હશે પહેલી T20માં ભારતની પ્લેઈંગ 11
Published On - 4:39 pm, Tue, 28 October 25