Asia Cup 2025 : હવે પાકિસ્તાનની જર્સી પર શરૂ થયો વિવાદ, PCB પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપના સુપર-4માં પહોંચી ગઈ છે, પરંતુ તે પહેલા, મેચ રેફરી સાથેના વિવાદને કારણે વિવાદમાં ફસાઈ ગઈ હતી, અને હવે તે જર્સી વિવાદમાં ફસાઈ ગઈ છે. પાકિસ્તાનના એક ભૂતપૂર્વ ક્રિકેટરે PCB પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે.

Asia Cup 2025 : હવે પાકિસ્તાનની જર્સી પર શરૂ થયો વિવાદ, PCB પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ
Pakistan
Image Credit source: PTI
| Updated on: Sep 18, 2025 | 7:02 PM

એક તરફ પાકિસ્તાન એશિયા કપમાં હાથ ન મિલાવવાના મુદ્દા પર હોબાળો મચાવી રહ્યું છે, તો બીજી તરફ તેના એક ભૂતપૂર્વ ખેલાડીએ PCBનો પર્દાફાશ કર્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અતીક-ઉઝ-ઝમાને દાવો કર્યો છે કે એશિયા કપમાં પાકિસ્તાની ટીમ જે જર્સી પહેરી રહી છે તે ખૂબ જ નબળી ગુણવત્તાની છે. અતીક-ઉઝ-ઝમાને સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો છે અને PCBની ટીકા કરી છે. ઝમાને કહ્યું કે જ્યારે અન્ય ટીમોની જર્સી ડ્રાયફિટ હોય છે, તો બીજી તરફ પાકિસ્તાનની જર્સી ખરાબ છે.

ખેલાડીઓની હલકી ગુણવત્તાવાળા જર્સી

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઝમાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, “પાકિસ્તાની ખેલાડીઓને હલકી ગુણવત્તાવાળા જર્સીમાં ખૂબ પરસેવો થઈ રહ્યો છે, જ્યારે અન્ય લોકો યોગ્ય ડ્રાય-ફિટિંગ જર્સી પહેરી રહ્યા છે. આવું જ થાય છે જ્યારે ટેન્ડર પ્રોફેશનલ્સને નહીં, પરંતુ મિત્રોને આપવામાં આવે છે. પરસેવા કરતાં ભ્રષ્ટાચાર વધુ સ્પષ્ટ છે.” અતિક-ઉઝ-ઝમાનના મતે, પાકિસ્તાની ખેલાડીઓને નબળી ગુણવત્તાવાળા જર્સીને કારણે ખૂબ પરસેવો થઈ રહ્યો છે, જે તેમના પ્રદર્શનને અસર કરી રહ્યો છે.

 

કોણ છે અતીક-ઉઝ-ઝમાન?

અતિક-ઉઝ-ઝમાન એક ભૂતપૂર્વ પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન છે જેણે એક ટેસ્ટ અને ત્રણ વનડે રમી છે. અતિકે 69 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 2521 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. લિસ્ટ A ક્રિકેટમાં પણ તેમના 816 રન છે. અતિક હાલમાં જર્મન ટીમને કોચ કરે છે, તેણે 2023માં આ જવાબદારી સંભાળી હતી.

પાકિસ્તાને હાથ ન મિલાવવાનો વિવાદ વધાર્યો

પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં તેના પ્રદર્શન કરતાં તેના વિવાદોને કારણે વધુ સમાચારમાં છે. 14 સપ્ટેમ્બરના રોજ ભારત સામેની મેચ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ તેના ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો હતો, જેના કારણે ટીમે આ મામલો ICCમાં લઈ જવામાં આવ્યો હતો. PCBએ મેચ રેફરીને હટાવવાની પણ માંગ કરી હતી, પરંતુ આવું થયું નહીં અને આખરે તેમનો પરાજય થયો. હાલમાં, ટીમની સ્થિતિ એવી છે કે તે સુપર 4 માં પહોંચી ગઈ છે અને 21 સપ્ટેમ્બરના રોજ ટીમ ઈન્ડિયાનો સામનો કરશે.

આ પણ વાંચો: World Athletics Championships : નીરજ ચોપરાની હાર, સચિન યાદવ 40 સેન્ટિમીટરથી મેડલ ચૂકી ગયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો