આકાશ અંબાણી (Akash Ambani) રિલાયન્સ જિયો (Reliance Jio)ના ચેરમેન બન્યા છે. મુકેશ અંબાણી (Mukesh Ambani) એ 28 જૂને પોતાના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. આકાશને બીજી મોટી જવાબદારી મળી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશને જે પણ જવાબદારી સોંપવામાં આવી હતી તે તેણે ખૂબ જ સારી રીતે નિભાવી હતી. ભલે તે ક્રિકેટ જગતની કેમ ન હોય. IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માલિકીની છે અને આકાશ અંબાણી આ ફ્રેન્ચાઈઝી સંભાળી રહ્યા છે. ફ્રેન્ચાઈઝીની જવાબદારી મળ્યા બાદ તેણે ટીમ માટે ઘણા કઠિન નિર્ણયો લીધા. જે પછીથી સાબિત થઈ ગયું કે તેની પાસે કેટલું આગળનું આયોજન છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સની ક્રિકેટ કીટ ડિઝાઈન કરવામાં પણ ઘણો રસ દાખવ્યો છે. તે હરાજીમાં પણ ખૂબ જ સક્રિય જોવા મળે છે.
મુંબઈ ટીમની સંપૂર્ણ જવાબદારી મળ્યા બાદ આકાશે પણ કેટલાક એવા નિર્ણયો લીધા હતા, જેના પર સવાલો પણ ઉઠ્યા હતા. પરંતુ આકાશના પ્લાનિંગને જાણતા દરેક વ્યક્તિએ તેના નિર્ણયના વખાણ કરવાનું શરૂ કર્યું હતું. હવે IPL 2022ની જ હરાજી જોઈલો. તેણે ઈંગ્લેન્ડના ખેલાડી જોફ્રા આર્ચર પર 8 કરોડની બોલી બોલી હતી. જેના વિશે પહેલાથી જ સ્પષ્ટ હતું કે તે આઈપીએલની આ સિઝનમાં નહીં રમે. પરંતુ તેમ છતાં આકાશે જોફ્રા આર્ચરને ખરીદ્યો. આર્ચર પણ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. આકાશના આ નિર્ણય પર ઘણા સવાલો ઉભા થયા હતા. પરંતુ આકાશે જે જવાબ આપ્યો તે પછી તેણે બધાની બોલતી બંધ કરી દીધી. તેમની વ્યૂહરચના દરેક જગ્યાએ વખાણવામાં આવી હતી. આકાશે કહ્યું કે તેની યોજના માત્ર આ આઈપીએલ સુધી જ નહીં, આગળ પણ છે. જ્યારે આર્ચર આગામી સિઝનમાં ફિટ થશે ત્યારે જસપ્રીત બુમરાહને મજબૂત ટેકો મળશે.
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની આગામી સિઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ તૈયારીઓ માટે આકાશે પણ એક મોટું પગલું ભર્યું છે. મુંબઈએ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ માટે ઈંગ્લેન્ડના ત્રણ સપ્તાહના એક્સપોઝર પ્રવાસનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. જે જુલાઈમાં શરૂ થશે.