
ભારતે ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2-2 થી બરાબર કરી. આ વિજય ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ઐતિહાસિક ક્ષણ હતી, ખાસ કરીને જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓએ તાજેતરમાં નિવૃત્તિ લીધી હતી. પરંતુ આ શાનદાર વિજય છતાં, ભારતીય ખેલાડીઓએ ઓવલ ટેસ્ટ પછી ઈંગ્લેન્ડમાં ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો.
પાંચ ટેસ્ટ મેચની આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ પડકારજનક હતી. યુવા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું. શ્રેણીના નાટકીય અંત પછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. પરંતુ ખેલાડીઓએ ઉજવણીને બદલે આરામ કરવો અને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કર્યું.
BCCIના એક સૂત્રએ જણાવ્યું, ‘ગઈકાલે રાત્રે કોઈ મોટી ઉજવણી થઈ ન હતી. તે એક લાંબી અને થકવી નાખનારી શ્રેણી હતી. ખેલાડીઓએ એકલા અથવા તેમના પરિવાર સાથે સમય વિતાવ્યો. મોટાભાગના ખેલાડીઓ હવે ભારત પાછા ફરી રહ્યા છે, જ્યારે કેટલાક રજાઓ ગાળવા માટે અન્ય સ્થળોએ જઈ રહ્યા છે.’
શ્રેણી પૂરી થયાના 24 કલાકથી પણ ઓછા સમયમાં, ઘણા ખેલાડીઓ ઘરે જવા રવાના થઈ ગયા છે. છેલ્લી ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મોહમ્મદ સિરાજ દુબઈ થઈને હૈદરાબાદ જશે. મંગળવારે સવારે ફ્લાઈટ દ્વારા રવાના થયેલા ખેલાડીઓમાં અર્શદીપ સિંહ અને શાર્દુલ ઠાકુર પણ હતા. ખેલાડીઓ દુબઈ પહોંચ્યા પછી તેમના સંબંધિત વતન શહેરો માટે કનેક્ટિંગ ફ્લાઇટ્સ લેશે.
ઘણા ખેલાડીઓએ ભારત પાછા ફરવાને બદલે ઈંગ્લેન્ડમાં બ્રેક લેવાનું નક્કી કર્યું છે. પ્રસિદ્ધ કૃષ્ણા છેલ્લી ટેસ્ટ પછી લંડનમાં તેના પરિવાર સાથે સમય વિતાવતો જોવા મળ્યો હતો. શ્રેણીમાં એક પણ મેચ ન રમનારો કુલદીપ યાદવ ભારતના ભૂતપૂર્વ સ્પિનર પીયૂષ ચાવલા સાથે લંડનમાં ફરતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ICC rule book EP 14 : જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં એકસાથે બે ઈનિંગ રમે કોઈ એક ટીમ, ત્યારે ICCનો કયો નિયમ લાગુ થાય?