RAJKOT : ખોડલધામના પ્રણેતા નરેશ પટેલે ફરી રાજકીય સૂર વગાડ્યો છે.જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવું નિવેદન આપીને નરેશ પટેલે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.જો કે આ પ્રથમ વખત નથી અગાઉ વર્ષ 2017થી નરેશ પટેલ રાજકીય પક્ષ સાથે જોડાવાની સ્પષ્ટ ના પાડીને રાજકીય સોગઠાં બેસાડતા જોવા મળી રહ્યા છે.તમામ રાજકીય પક્ષો સાથે તેઓ બેસે છે અને પોતાનું પ્રભુત્વ વધારતા જોવા મળી રહ્યા છે.
ખોડલધામ ઉભું કરવામાં પહાડો સર કર્યા,રાજકારણ પણ કરી શકું-નરેશ પટેલ
ટીવીનાઇન સાથેની વાતચીતમાં નરેશ પટેલે કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલા ખોડલધામના નિર્માણ માટે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો,અનેક પહાડો સર કર્યા છે.સમાજને એકત્ર કરવા માટે અને સમાજના વિકાસ માટે કંઇપણ કરી શકું છું.હવે જો સમાજ રાજકારણમાં પ્રવેશવાનું કહેશે તો રાજકારણમાં પણ પ્રવેશ કરીશ.
રાજકારણમાં પ્રવેશ એટલે ચૂંટણી લડવી એવું નથી- નરેશ પટેલ
નરેશ પટેલ અગાઉ એવું સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ક્યારેય ચૂંટણી નહિ લડે.આજે પોતાના નિવેદન દરમિયાન નરેશ પટેલે કહ્યુ હતું કે રાજકારણમાં પ્રવેશ કરવો એટલે એવું નથી કે ચૂંટણી લડવી.સમાજના વિકાસ માટે રાજકારણમાં પ્રવેશ કરી શકાય છે.
તમામ રાજકીય પક્ષોએ નરેશ પટેલને આવકાર્યા
નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે તો ક્યાં પક્ષમાં જોડાય એ સવાલ બહું સ્વાભાવિક છે પરંતુ નરેશ પટેલ જો જોડાય તો ક્યાં પક્ષમાં જોડાય તેના પર સૌની નજર છે.જો કે નરેશ પટેલનું નિવેદન આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો તેને આવકારવા માટે તૈયાર થઇ ગયાં.
નોંધનીય છેકે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી નરેશ પટેલે રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. એક માહિતી પ્રમાણે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ પણ મળ્યું છે. આ મામલે ટીવીનાઇન સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું કે રાજકારણ માટે જોડાવવું કે નહિં તે અંગે સમાજ નક્કી કરશે. અને, જયારે અમારો સમાજ આ બાબતે મને મંજૂરી આપશે તો હું રાજકારણમાં જોડાવવાનું પગલું ભરીશ. અને, આ તમામ બાબતે સમય જ નક્કી કરશે કે મારે કયારે રાજકારણમાં જોડાવવું ?
નોંધનીય છેકે આજે પાટીદાર અગ્રણીઓની સીએમ સાથે બેઠક યોજાવવાની છે આ પૂર્વે નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપતા રાજકારણ ગરમાયું છે. નરેશ પટેલ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના મોટા અગ્રણી નેતા છે. અને, સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર મોટી વેંક પણ છે. આ ઉપરાંત કોંગ્રેસ પાસે લેઉવા પાટીદારોનું મોટું નામ નહીં હોવાથી નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાશે તો મોટા સમીકરણ ચેઇન્જ થશે. આ ઉપરાંત, આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં લેઉવા પાટીદારોના મત મહત્વના સાબિત થશે.