કેન્દ્રની સત્તાથી 2014 માં દુર થયેલી કોંગ્રેસ પાર્ટી ધીરે ધીરે અનેક રાજ્યોમાં પણ નબળી પડી રહી છે. ધારાસભ્યો કાં તો પાર્ટીમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે અથવા અન્ય પક્ષોમાં, ખાસ કરીને ભાજપમાં તેમનું ભવિષ્ય જોઈ રહ્યા છે. તાજેતરમાં પુડ્ડુચેરીના કેટલાક ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી, જેના કારણે નારાયણસ્વામીની સરકાર લઘુમતીમાં આવી ગઈ અને તેમને ચૂંટણી પહેલા જ રાજીનામું આપવું પડ્યું હતું. આ ઘટના સાક્ષી છે કે દેશની સૌથી પ્રાચીન પાર્ટી કોંગ્રેસ, ખુબ નબળી પડી રહી છે.
ચૂંટણી અને રાજકીય સુધારણાની પેરા સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) એ એક અહેવાલમાં કહ્યું છે કે, વર્ષ 2016-2020 દરમિયાન યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના 170 ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાયા. જ્યારે ભાજપના માત્ર 18 ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાયા.
એડીઆરના અહેવાલ અનુસાર, 2016-2020 દરમિયાન જુદી જુદી પાર્ટીઓના 405 ધારાસભ્યોમાંથી પાર્ટી બદલીને 182 ભાજપમાં જોડાયા. 28 ધારાસભ્યો કોંગ્રેસમાં અને 25 ધારાસભ્યો તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં જોડાયા. અહેવાલમાં જણાવાયું છે કે 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન, 5 લોકસભાના સભ્યો ભાજપ સિવાય અન્ય પક્ષોમાં જોડાયા હતા, જ્યારે કોંગ્રેસના 7 રાજ્યસભાના સભ્યો 2016-2020 દરમિયાન અન્ય પક્ષોમાં જોડાયા હતા.
ભાજપના 18 ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાયા
એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે કોંગ્રેસના 170 ધારાસભ્યો વર્ષ 2016-2020માં ચૂંટણી દરમિયાન અન્ય પક્ષોમાં જોડાયા હતા, જ્યારે આ જ સમયગાળામાં ભાજપના માત્ર 18 ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાયા. એડીઆરએ કહ્યું, “એ નોંધવું જરૂરી છે કે મધ્યપ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બનવી અને પડવી ધારાસભ્યોના ઉથલપાથલ પર આધારિત રહી. આ અહેવાલ મુજબ રાજ્યસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટણી લડનારા 16 રાજ્યસભા સભ્યોમાંથી 10 સભ્યોએ પક્ષ બદલીને ભાજપમાં જોડાયા હતા.