સામાન્ય રીતે હોસ્પિટમાં સારવાર માટે આવતા કોઈ પણ દર્દી પ્રત્યે હોસ્પિટલના સંચાલક કે ડોકટરોએ ગમા અણગમો દાખવવો ના જોઈએ. અને આ પ્રકારની મનોવૃતિ તબીબે તો ના જ દાખવવી જોઈએ. આમ છતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલે (SVP) પોતાનો કાન આમળનાર પત્રકાર સામે કિન્નાખોરી દાખવી.
તબીબઆલમને બટ્ટો લાગે તેવી કામગીરી અર્ધસરકારી હોસ્પિટલે કોરોના સંક્રમિત પત્રકાર માટે કરી. ટીવી9 ગુજરાતી ન્યૂઝ ચેનલના પત્રકાર જીગ્નેશ પટેલને કોરોના થયો હતો. શ્વાસમાં તકલીફ ઊભી થતા તેમણે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં(SVP) દાખલ થવાની પ્રક્રિયા હાથ ધરી. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલની (SVP)સારી અને નરસી બાબતોને ટીવી9 ચેનલમાં દર્શાવનાર પત્રકાર માટે, હોસ્પિટલના સચાલકોએ માનવતાને પણ શર્મશાર કરે તે પ્રકારે પત્રકારે દર્શાવેલ નરસી બાબતોને જ યાદ રાખી.
હોસ્પિટલની સારી બાબતોને ચેનલમાં દર્શાવેલ તે યાદ ના રાખ્યુ. અને અમદાવાદના મેયર, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન સહીત અનેક પદાધિકારીઓના કહેવા છતા હોસ્પિટલના સંચાલકોએ, કોરોનાની સારવાર માટે પત્રકાર જીગ્નેશ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવાનુ સૌજન્ય ના દાખવ્યું તે ના જ દાખવ્યુ પરંતુ તબીબનો ધર્મ પણ ના બજાવ્યો.
આ ઘટના જ દર્શાવે છે કે, ગુજરાતમાં ચૂંટાયેલા રાજકારણીઓનું નહી પરંતુ નોકરી કરતા અધિકારીઓનું રાજ ચાલે છે. એક સમય હતો કે ગુજરાતમાં ચૂંટાયેલા રાજકારણી કોઈ આદેશ આપે તેનો બોલ એક પણ અધિકારી ઉથ્થાપી શકતો નહોતો. ચૂંટાયેલા રાજકારણીએ આપેલ આદેશનું સરકારી નોકરી કરતા અધિકારીએ પાલન કરવાનું હોય છે. પછી તે વર્ગ એકમાં સમાવેશ થતા આઈએએસ અધિકારી હોય કે વર્ગ ચારના કર્મચારી.
આ ઘટના માત્ર તબીબી જગત માટે જ નહી પરંતુ રાજ કરતા રાજકારણી માટે પણ આંખ ઉધાડનારી છે. જો પ્રજામતે ચૂંટાઈ આવ્યા બાદ, સત્તાસ્થાનેથી અપાયેલા આદેશનું યોગ્ય પાલન ના થતુ હોય તો બીજુ તો આ રાજકારણીઓ શુ કરી શકવાના છે ? આ ઘટનામાં દાખલો બેસે તેવા પગલા ભરવા જોઈએ અને પોતાના આદેશનુ પાલન ના કરનાર નોકરી કરતા નોકરશાહ સામે શિસ્તભંગના પગલા લઈને ખાતાકીય કાર્યવાહી કરવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો