કેન્દ્ર સરકારે આજે કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમને સવાલ પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકારની દેશભરમાં એનઆરસી લાગુ કરવાની કોઈ યોજના છે?
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે તેના લેખિત જવાબમાં કહ્યું કે, “અત્યાર સુધી સરકારે રાષ્ટ્રીય સ્તરે ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર (NRC)તૈયાર કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.”
સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અસમમાં એનઆરસી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે અંતિમ એનઆરસી 31 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે કુલ 3,30,27,661 અરજદારોમાંથી 19.06 લાખ લોકોને બહાર મૂકવામાં આવ્યા હતા. જેના લીધે સમગ્ર ભારતમાં વિવાદ ઉભો થયો હતો. તેમજ અનેક રાજ્યોમાં તેની વિરુદ્ધ આંદોલનો પણ થયા હતા.
બીજા પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું કે નાગરિકતા અધિનિયમ, 1955 અને ભારતીય નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર હેઠળ અટકાયત કેન્દ્ર( ડિટેન્શન સેન્ટર) ની કોઇ જોગવાઈ નથી. તેમણે કહ્યું કે, 28 ફેબ્રુઆરી, 2012 ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આવી સજા ભોગવતા વિદેશી નાગરિકોને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તેમને દેશનિકાલ અથવા પ્રત્યાર્પણ સુધી મર્યાદિત અવર જવર સાથે યોગ્ય સ્થાને રાખવામાં આવે.
નિત્યાનંદ રાયે કહ્યું કે, આ નિર્દેશ બાદ, ગૃહ મંત્રાલયે 7 માર્ચ, 2012 ના રોજ, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટદારોને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા સૂચનાઓ આપી હતી. મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અને વિદેશીઓની અટકાયત માટેની તેમની સ્થાનિક જરૂરિયાતો અનુસાર ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવે છે. જેમાં ગેરકાયદેસર સ્થળાંતર કરનારા અથવા વિદેશીઓ હોય છે જેમની સજા પૂર્ણ થઈ ગઈ છે અને જેમની પાસે દેશનિકાલ અથવા પ્રત્યાર્પણ સબંધી દસ્તાવેજોના ન હોવાને લીધે કાર્યવાહીમાં વિલંબ થયો હોય.