પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછી, સતત થઈ રહેલી હિંસા અને ભાજપના કાર્યકરો પરના હુમલાથી ઉશ્કેરાયેલા ભાજપે, ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીના ( Mamata Banerjee ) પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનપદના શપથ સમારોહનો બહિષ્કાર કર્યો છે. હિંસા સામે ભાજપે ધરણાંની જાહેરાત કરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની આગેવાની હેઠળ, ભાજપના કાર્યકરો અને આગેવાનો, દેશમાં પ્રજાસત્તાક સંરક્ષણના શપથ લેશે.
મમતા બેનર્જી આજે સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજ્યપાલ શપથ લેવડાવશે. પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, પૂર્વ વિપક્ષી નેતા અબ્દુલ મન્નાન અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) બિમાન બોઝ, સૌરભ ગાંગુલી સહિત ભાજપના બંગાળ એકમના પ્રમુખ દિલીપ ઘોષ અને વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા, શપથ સમારોહમાં આમંત્રણ અપાયું હતું, પરંતુ પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે સ્પષ્ટ કર્યું છે કે તેઓ શપથ સમારોહમાં ભાગ લેશે નહીં.
હિંસા સામે ભાજપ વિરોધ પ્રદર્શન કરશે
દિલીપ ઘોષે કહ્યું કે, ચૂંટણી બાદ ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં માત્રને માત્ર ભાજપને અને ભાજપના પાયાના કાર્યકર્તાઓને નિશાન બનાવીને હિસંક હુમલા કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણીના પરિણામો બાદ ભાજપના 11 કાર્યકરો માર્યા ગયા છે. જેના વિરોધમાં મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહી લે. બીજી તરફ ભાજપે હિંસા વિરુદ્ધ ધરણાં યોજવાની જાહેરાત કરી છે. ભાજપનો આરોપ છે કે મુરલીધર લેન ખાતે ભાજપ કાર્યાલયની સામે બનાવેલા ધરણા સ્થળને, પોલીસ તોડી નાખ્યુ છે. હવે હેસ્ટિંગ્સ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ધરણા યોજવામાં આવશે. જો કે કોલકત્તા પોલીસે તેને મંજૂરી આપી નથી. આજે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પીડિતોના પરિવારજનોને રૂબરુ મળશે.