ગુજરાતમાં મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં પણ ચૂંટણીલક્ષી ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ મહાનગરપાલિકાની (AMC) ચૂંટણી માટેના ઉમેદવારો પસંદ કરવા પક્ષના કાર્યકરોની રજૂઆતો સાંભળવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જો કે શહેર ભાજપ પ્રમુખ દ્વારા, ભાજપે નિમેલા નિરીક્ષકોએ કયા દિવસે, કયા વોર્ડના કાર્યકર્તાઓની રજૂઆતો સાંભળવી તે કાર્યક્રમમાં સતત ફેરફાર કર્યાનો આક્ષેપ કાર્યકરો કરી રહ્યાં છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો, અમદાવાદ મહાનગરપાલિકાના તમામે તમામ વોર્ડના ઉમેદવારોની પસંદગી કરવા માટે, આગામી 2 દિવસ એટલે કે 24 અને 25 જાન્યુઆરીએ, ભાજપના કાર્યકર્તાની રજૂઆતો સાંભળશે. પક્ષના કાર્યકરોની ઉમેદવારો બાબતની રજૂઆતો સાંભળ્યા બાદ નિરીક્ષક તેમનો અહેવાલ, પ્રદેશ ભાજપને સોપશે. જેના આધારે તાજેતરમાં જ રચાયેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નિરીક્ષકોના અહેવાલ ઉપર ચર્ચા વિચારણા કરીને ઉમેદવારો અંગે નિર્ણય કરશે.
Published On - 6:55 pm, Sat, 23 January 21