ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે આજે યોજાયેલી ચૂંટણીમા કુલ 172માંથી 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. બીટીપી (BTP)ના બે ધારાસભ્ય પિતા-પૂત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા જ મતદાનથી વંચિત રહ્યાં છે. જો કે આ બન્ને ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરફી મતદાન કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમજાવટ કરી ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યોની સખ્યાં છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 103 ધારાસભ્યો છે. જેમણે ભાજપના ત્રણ ઉમેદવારને પાર્ટીએ આપેલા વ્હીપ મુજબ મતદાન કર્યું છે. તો એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપ તરફી મતદાન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસના 65 ધારાસભ્યો પૈકી મોવડી મંડળે નક્કી કરેલા 35 ધારાસભ્યોએ શક્તિસિંહ ગોહીલને અને બાકીના 30 ધારાસભ્યોએ ભરતસિંહ સોલંકીને મત આપ્યા હોવાની વાત છે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનું કહેવાય છે.
હવે માત્ર બીટીપીના બે જ ધારાસભ્યો મતદાન કરવાથી વંચિત રહ્યાં છે. જો કે આજે સવારે મતદાનપૂર્વે છોટુ વસાવા અને મહેશ વસાવાએ મતદાનથી દૂર રહેવાનો મનસુબો વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બન્ને પિતા પુત્રને મતદાન કરવા માટે સમજાવ્યા હતા. જો કે બીટીપીના મત વિના પણ ભાજપે તેમના ત્રણેય ઉમેદવારો જીતી રહ્યાનો દાવો કર્યો છે તો કોંગ્રેસના બીજા ક્રમાંકના ઉમેદવાર ભરતસિંહની છાવણી અને તેમના તરફી ટેકેદારોમાં નિરાશાનું મોજૂ ફરી વળ્યું છે. જુઓ વિડીયો.
Published On - 9:46 am, Fri, 19 June 20